સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

લીલી પરિક્રમા બંધ હોઇ તમામ રૂટો ઉપર પોલીસ દ્વારા જાપ્તો મુકાયો

જૂનાગઢ,તા. ૨૪: ચાલુ સાલે કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા લીલી પરિક્રમા બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ હોઈ, જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરી, લીલી પરિક્રમા બંધ રાખવામાં આવેલ હોઈ, શ્રદ્ઘાળુઓને બિન જરૂરી ભીડના થાય એ માટે લીલી પરિક્રમામાં નહીં આવવા માટે અપીલ કરવામાં આવેલ છે. લીલી પરિક્રમા ચાલુ સાલે બંધ હોવાથી કોઈને ભવનાથ વિસ્તાર કે લીલી પરિક્રમના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર નથી. ભવનાથ વિસ્તાર તથા જંગલ વિસ્તારના બીજા નાકાઓ તરફથી પણ લોકો પ્રવેશ ના કરે તે માટે જરૂરી જડબેસલાક બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સ્મશાન ત્રણ રસ્તા, દામોદર કુંડ, ભવનાથ મંદિર, ગિરનાર પર્વત, જંગલમાં પ્રવેશવાના પોઇન્ટ ઉપર પોલીસ દ્વારા પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલ હોઈ, કોઈને પણ રૂટ ઉપર જવા દેવામાં આવશે નહીં. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત રાખી, વ્યવસ્થા જાળવવા નિર્ણય કરવામાં આવેલ છે. ઉપરાંત, યાત્રાળુઓ હેરાન ના થાય તે માટે ભવનાથ જૂનાગઢ ખાતે લીલી પરિક્રમા બંધ હોવાથી યાત્રાળુઓને ધક્કોના ખાવા પણ વિનંતી તથા અપીલ કરવામાં આવેલ છે.

હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં લીલી પરિક્રમા બંધ રાખવામાં આવેલ હોઈ,અત્યારથી આગોતરું આયોજન કરી, લોકોને જાણ કરી, જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(1:23 pm IST)