દ્વારકાધીશ ભગવાનના ચરણમાં પૂ. રમેશભાઇ ઓઝાએ ૩૯મું ધ્વજાજી પુષ્પ અર્પણ કર્યું
લોકડાઉન-કોરોનાકાળ બાદ પ્રથમ વખત 'પૂ. ભાઇશ્રી'એ સાંદિપની આશ્રમથી બહાર આવીને ધ્વજાજીની પરંપરા યથાવત રાખી
સાંદીપનિ આશ્રમમાં રમેશભાઇ કોરોના કાળમાં પ્રભુ ભકિત સાથે અજ્ઞાતવાસ પસાર કર્યા બાદ સીધા દ્વારકાધીશજીના ચરણમાં શીશ નમાવવા આવતા હતાં તેઓ વર્ષોથી દર દશેરાના ધ્વજાજીનું આરોહણ કરાવે છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૭ : પોરબંદરના સાંદિપની આશ્રમમાં શારદીય નવરાત્રીના અનુષ્ઠાન બાદ ગઇકાલે દ્વારકાધીશજીના શિખર પર દશેરા પવિત્ર પર્વ નિમિતે ૩૯મું ધ્વજાજી સ્વરૂપ પુષ્પ અર્પણ કરતા કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ એ કોરોનાના કારણે ઘરમાં રહીને વિશિષ્ટ રીતે માતાજીની આરાધના કરી તેવું હિન્દુ ધર્મમાં પ્રથમ વખત થયું છે, પરંતુ લોકો નવરાત્રીમાં ઘરે જ રહી તે કોરોના કાળમાં ખૂબજ મહત્વનું છે. કોરોના કાળના કપરા સમય અને વર્તમાન સ્થિતિ અંગે રમેશભાઇ કહ્યું હતું કે આપણા દેશની આબાદીને નજર અંદાજ કરીએ તો પ્રમાણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કોરોનાનો ભોગ લોકોએ સહન કરવો પડયો છે જે અન્ય દેશોની સાથે ઘણો ઓછો કહેવાય. સમગ્ર વિશ્વની સરખામણીએ ઘણું જ ઓછી અસર ભારતભરમાં કોરોનાની રહી છે, પરંતુ આપણા દેશમાંથી કોરોના હજુ ગયો નથી. વડાપ્રધાન મોદીજીએ પણ હિમાયત કરી છે કે લોકોએ કોરોનાના નિયમોનો હજુ પણ ચુસ્ત પાલન કરવું જોઇએ જેથી વાયરસને કન્ટ્રોલ કરી શકાય.
ખાસ કરીને ઘરના વડીલો અને સામૂહીક પરિવારોએ ખાસ જાળવણી કરવી જોઇએ જેથી કરીને આપણે આપણી જીવન યાત્રાના પૂર્વ સલામતિ સાથે ચલાવતા રહીએ અને આપણા કર્મ યોગ દ્વારા ઇશ્વરના ચરણમાં ભકિત પ્રદાન કરીએ તે જરૂરી છે.