ભૂજના કોટડા ગામે સ્વૈચ્છિક ટેસ્ટમાં સામટા ૨૭ દર્દી : ભાવનગર-૩૦, મોરબી-૧૮ કેસ
કચ્છમાં કોરોનાનો ફૂંફાડો વધી રહ્યો છે, નવા ૩૭ કેસ : મોરબીમાં સ્થિતિ કાબૂમાં હોવાનું ચિત્ર : ૨૨ દર્દી ડિસ્ચાર્જ
રાજકોટ તા. ૨૯ : સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો કહેર યથાવત હોઇ તેમ કેસો વધી જ રહ્યા છે. ક્યાંકને ક્યાંક દર્દીઓ પોઝિટિવ બની રહ્યા છે જે મળતા અહેવાલ અહીં રજૂ છે.
કચ્છમાં શહેરી વિસ્તારમાં કેસો વધ્યા : ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટ જરૂરી
ભુજ : કચ્છમાં કોરોનાનો ફુંફાડો દિનપ્રતિદિન વધી રહ્યો છે. નવા ૩૭ કેસ સાથે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને ૩૯૭ થઈ છે. તો, સાજા થયેલા દર્દીઓ ૧૫૮૦ છે. જયારે કુલ દર્દીઓ ૨૦૮૪ થયા છે. મોતનો આંક સરકારી ચોપડે ૬૫ છે. પણ, ૪૨ દર્દીઓની ઘટ આવતી હોઈ બિન સત્તાવાર મોતનો આંક ૧૦૭ હોવાની આશંકા છે.
દરમિયાન સરકારી ચોપડે નવા કેસો હમણાં માત્ર શહેરી વિસ્તારના વધુ દેખાય છે. પણ, ચિંતાજનક વાત એ છે કે, ભુજ તાલુકાના કોટડા ગામે સ્વૈચ્છિક કોરોના ટેસ્ટમાં સામટા ૨૭ કેસ નિકળ્યા એ જોતાં કચ્છના અન્ય ગામડાઓમાં ટેસ્ટ વધારવાની જરુરત છે. જોકે, નવા કેસ વિશે દર્દીઓની માહિતી ન અપાતાં લોકોમાં ગભરાટ વધી રહ્યો છે. ખરેખર જે રીતે કન્ટેન્મેંન્ટ ઝોન વધી રહ્યા છે. એ જોતાં દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે. જોકે, ભુજના કોટડા ગામે સ્વૈચ્છાએ લોકડાઉન શરૂ કર્યું છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરવા લોકોએ જાતે જાગૃત થવુ પડશે.
ભાવનગરમાં ૩૭૯દર્દીઓ સારવાર હેઠળ
ભાવનગર : જિલ્લામા વધુ ૩૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૧૦૧ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે ૧, મહુવા ખાતે ૫, પાલીતાણા ખાતે ૧, ખીજડીયા ગામ ખાતે ૧, હસ્તગીરી ગામ ખાતે ૨, સિહોર તાલુકાના પીપરડી ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે ૧, દિહોર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના વડોદ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જયારે મહાનગરપાલિકા વિસ્તારના ૨૮ અને તાલુકાઓના ૫ એમ કુલ ૩૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૪,૧૦૧ કેસ પૈકી હાલ ૩૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૬૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૬ દર્દીઓના અવસાન થયેલ છે.
મોરબી
મોરબી : કોરોના કહેર વધવાને બદલે ઘટી રહ્યો હોય અને સ્થિતિ કાબુમાં આવી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે અથવા તો બતાવવા પ્રયાસ કરવામાં આવી રહયા છે કારણકે કેસોની સંખ્યા સતત ઘટી રહી છે આજે માત્ર ૧૮ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે જયારે ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા છે
મોરબીમાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૩ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૩ કેસ ગ્રામ્ય પંથકમાં અને ટંકારા ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ ૧૮ કેસો નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે નવા ૧૮ કેસો સાથે કુલ કેસનો આંક ૧૬૭૨ થયો છે જેમાં ૨૫૪ એક્ટીવ કેસ છે જયારે ૧૩૩૨ દર્દીઓ સ્વસ્થ થયા છે.