ભાવનગરમાં સવા ત્રણ લાખની ચોરી
પટેલ મહિલાના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : ૧૨ તોલાના દાગીના ઉઠાવી ગયા
ભાવનગર તા. ૨૯ : ભાવનગરમાં પટેલ મહિલાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૧૨ તોલાના સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂા. ૩.૧૨ લાખની મત્તાનો હાથફેરો કરી નાસી છૂટયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. મળતી વિગતો મુજબ શહેરના વિજયરાજનગર પ્લોટ નં. ૫૭૬માં રહેતા સાડીનો વેપાર કરતા કૈલાસબેન રણછોડભાઇ લાખાણી તેમના સુરત રહેતા કૌટુંબિકભાઇનું અવસાન થતાં તેઓ પરિવાર સાથે લૌકિક કામે સુરત ગયા હતા ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળા તોડી ઘરમાં પ્રવેશી તિજોરી - કબાટના તાળા તોડી ૧૨ તોલાના સોનાના દાગીના કિંમત રૂા. ૩ લાખ અને રોકડા રૂા. ૧૨ હજાર મળી કુલ રૂા. ૩.૧૨ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે કૈલાશબેન લાખાણીએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. આર.આઇ.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.