ગિરનાર રોપ-વેના કામચલાઉ ભાડા ઘટાડામાં અમને રસ નથીઃ મહેન્દ્ર મશરૂ
વ્યાજબી ધોરણના ભાડા ઘટાડાની લાંબા ગાળાની જાહેરાત જરૂરી
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. રાજય સરકારે નિમેલ ગીરનાર વિકાસ સમિતિના મેમ્બર મહેન્દ્ર મશરૂએ એક નિવેદનમાં જણાવતા કહયુ છે કે તાજેતરમાં જૂનાગઢમાં શરૂ થયેલ એશીયાનો સૌથી મોટો ગીરનાર રોપ-વેનો ટીકીટનો દર ઘણો ઉંચો હોવાને કારણે સામાન્ય જન સમાજમાં કચવાટ ઉભો થયો છે.
સામાન્ય વર્ગના લોકો ટીકીટના ઉંચા દરને લઇને ઉડન ખટોલાના લાભથી વંચિત રહી શકે છે.
ઉષા બ્રેકો કંપની (રોપ-વે) એ તાજેતરમાં જૂનાગઢના રહેવાસીઓ માટે માત્ર થોડા દિવસ માટે માત્ર થોડોક ભાવ ઘટાડો જાહેર કર્યો છે. તેનાથી સંતોષ નથી. વ્યાજબી ભાવ ઘટાડો લાંબા ગાળા માટે ત્થા સમગ્ર જનતા તથા યાત્રીકો માટે જાહેર થવો જોઇએ તેવી સમગ્ર જન સમાજની માંગણી રહેલ છે. તેમ અંતમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું હતું.