Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

રિશભ પંતના પ્રદર્શનથી ખુબ ખુશ છું : રવિ શાસ્ત્રી

સિરિઝમાં પંતે એક સદી, બે અડધી સદી ફટકારી હતી : પંતની વિકેટકીપિંગમાં ઘણો જ સુધારો થયો છે : રવિ શાસ્ત્રી

અમદાવાદ, તા. ૭ : ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર બેટ્સમેન રિશભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પંતની પ્રશંસા કરતા કહ્યું છે કે છેલ્લા બે મહિનામાં તેણે જે પ્રદર્શન કર્યું છે તે કોઈ તેની આખી કારકિર્દીમાં પણ કરી શકે તેમ નથી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં રિશભ પંતે સદી ફટકારી હતી અને ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે આ ટેસ્ટ એક ઈનિંગ્સ અને ૨૫ રને જીતવાની સાથે જ ચાર ટેસ્ટની સિરીઝ ૩-૧થી જીતી લીધી હતી. આ ઉપરાંત ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.

રિશભ પંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને બાદમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં એક સદી અને બે અડધી સદી ફટકારી હતી. વિકેટ પાછળ તેના પ્રદર્શનમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ૨૧ વર્ષની વયે મને પણ આટલી સફળતા મળી હતી તેથી આ ખેલાડીઓએ જે કંઈ મેળવ્યું છે તેને હું સમજી શકું છું. આઈપીએલ રિશભ પંતે અન્ય કોઈ પણ ખેલાડી કરતા વધારે મહેનત કરી છે. આ પરિણામ ફક્ત તેણે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ જોવા જેવું છે.

જ્યારે તમારી પાસે પંત જેવી ક્ષમતા ધરાવતો નૈસર્ગિક મેચ વિજેતા ખેલાડી હોય ત્યારે ક્રિકેટ માટે તેનાથી મોટી કોઈ વાત નથી. મારા મતે છેલ્લા બે મહિનામાં તેણે ભારત માટે જે પ્રદર્શન કર્યું છે, તે અન્ય કોઈ ખેલાડી તેની કારકિર્દી દરમિયાન કરી શકશે નહીં. તેની વિકેટકીપિંગ પણ લાજવાબ રહી હતી, તેમ શાસ્ત્રીએ ઉમેર્યું હતું.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેચાર ટેસ્ટ મેચની સિરીઝ બાદ હવે પાંચ ટી૨૦ મેચની સિરીઝ રમાશે. આ પાંચેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેનો પ્રારંભ ૧૨ માર્ચથી થશે.

(9:46 pm IST)