Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમારે જોવું પડશે કે શું પ્રક્રિયા ખોટી હતી : એમએસ ધોની

ત્રણવારની ચેમ્પિયન સીએસકે હવે શું કરશે ? : ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન ધોનીની ટીમ સાત મેચો હારી જતા પ્લે ઓફ સુધી પહોંચવા સામે પ્રશ્નાર્થ

દુબઈ,તા.૨૦ : ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૭મી હાર બાદ કહ્યું કે, તેની ટીમને પરિણામ નહીં, પરંતુ પ્રક્રિયા પર ધ્યાન આપવાની જરૂર છે અને આ માટે તેમને આગળની મેચોમાં કડક નિર્ણયો લેવા પડશે. સોમવારની રાત્રે અબુધાબીમાં ચેન્નઈની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે ૫ વિકેટ ગુમાવીને ૧૨૫ રન જ બનાવી શકી અને ૭ વિકેટથી મેચ હારી ગઈ. હવે સીએસકે પર પહેલીવાર પ્લે ઓફમાં પણ ન પહોંચી શકવાનો ખતરો છે. ચેન્નઈની ટીમ અત્યાર સુધી આઈપીએલમાં જ્યારે પણ રમી છે, પ્લે ઓફ સુધી જરૂર પહોંચી છે. તે ત્રણ વખતની વિજેતા અને પાંચ વખતની સેકન્ડ રનઅરપ રહી છે, પરંતુ આ વખતે તેના ૧૦ મેચોમાંથી માત્ર ૬ પોઈન્ટ છે અને આગામી ૪ મેચો જીતવા છતાં પણ તેના પ્લે ઓફમાં પહોંચવાની સંભાવના અન્ય ટીમોના પરિણામો પર ટકેલી છે. ધોનીએ મેચ બાદ કહ્યું, પરિણામ હંમેશા તમારા અનુકૂળ નથી હોતું. અમારે જોવું પડશે કે શું પ્રક્રિયા ખોટી હતી? પરિણામ આ પ્રક્રિયાનું રિઝલ્ટ હોય છે.

આ હકીકત છે કે જો તમે પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત રાખો છો તો પરિણામને લઈને કારણવિના ટીમ પર પ્રેશર નથી પડતું. અમે તેમાંથી બહાર પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાજસ્થાન સામેની મેચ હાર્યા બાદ ધોનીએ કહ્યું કે, ઝડપી બોલરોને થોડી મદદ મળી રહી હતી. આથી મેં બોલ કેટલો ધીમો રહીને બેટ્સમેન સુધી પહોંચે છે તે જોવા રવિન્દ્ર જાડેજાને ઓવર આપી. આ પહેલી ઈનિંગ્સની જેમ નહોતું આથી મેં ઝડપી બોલર પાસે વધારે ઓવર કરાવી. મને નહોતું લાગતું કે સ્પિનરોને વધારે મદદ મળી રહી હતી. ટીમમાં યુવાઓને તક ન આપવા પર ધોનીએ કહ્યું, આ સાચું છે કે આ વખતે અમે (યુવાઓને) તેટલી તકો નથી આપી. એવું પણ થઈ શકે છે કે અમને પોતાના યુવાઓમાં જૂનુન ન દેખાયું હોય. અમે આગળ તેમને તક આપી શકીએ છીએ અને તે કોઈપણ પ્રેશર વિના રમી શકે છે. ધોનીના આ નિવેદન બાદ સીએસકેની આગામી બાકીની મેચોમાં ટીમના યુવા ખેલાડીઓને પણ પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી શકે છે. હવે જોવાનું રહેશે કે ધોનીની ટીમ બાકીની તમામ મેચો જીતીને પ્લેઓફ સુધી પહોંચી શકે છે કે નહીં.

(7:52 pm IST)