Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ભારતીય ક્રિકેટર વિજય શંકર લગ્નના બંધને બંધાયો

આઈપીએલમાં સનરાઈઝર્સ તરફથી ખેલાડી રમે છે : તમિલનાડુના ક્રિકેટર વિજય શંકરે કોલંબોમાં શ્રીલંકાની વિરુદ્ધ માર્ચ ૨૦૧૮માં ઇન્ટરનેશનલ ટી-૨૦ ડેબ્યૂ કર્યું

હૈદરાબાદ, તા. ૨૮ : ઑલરાઉન્ડર ખેલાડી વિજય શંકર વૈશાલી વિશ્વેશ્વરનની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ૨૬ જાન્યુઆરીના તેણે પોતાનો ૩૦મો જન્મદિવસ મનાવ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદે વિજય શંકરના લગ્નની તસવીર શેર કરીને અભિનંદન આપ્યા છે. તે આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાહબાદ તરફથી રમે છે. તેને વખતે ટીમે રીટેન કર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્વિટર પર લખ્યું છે કે, અમે વિજય શંકરને તેના જીવનના અત્યંત ખાસ દિવસ માટે શુભકામનાઓ આપીએ છીએ. અમે તમારી અત્યંત સારા લગ્નજીવનની કામના કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે આઈપીએલ ૨૦૨૦ માટે યુએઈ રવાના થતા પહેલા વિજય શંકરે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. તમિલનાડુના ક્રિકેટર વિજય શંકરે કોલંબોમાં શ્રીલંકાની વિરુદ્ધ માર્ચ ૨૦૧૮માં ટી-૨૦ ડેબ્યૂ કર્યું હતુ. ત્યારબાદ તેણે જાન્યુઆરી ૨૦૧૯માં મેલબર્નમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતુ. વિજય શંકર વનડે વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ ઇજા થવાના કારણે તેને મેચમાંથી હટવું પડ્યું. તેને વર્લ્ડ કપ ટીમમાં અંબાતિ રાયડૂની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેની ઘણી ટિકા કરવામાં આવી હતી.

વિજય શંકરે વર્લ્ડ કપની મેચમાં ૫૮ રન બનાવ્યા હતા અને વિકેટ ઝડપી હતી. તેનો હાઇએસ્ટ સ્કોર ૨૯ રનનો હતો. વિજય શંકરે અત્યાર સુધી ભારત તરફથી ૧૨ વનડે મેચ રમી છે, જેમાં તેણે ૨૨૩ રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર ૪૬ રન છે. ઉપરાંત તેણે વિકેટ પણ ઝડપી છે.

(9:26 pm IST)