Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ વિવાદને લઇને બે ફાંટા પડ્યા

લોયને પીચ ક્યુરેટરને ઓસી આવવા આમંત્રણ આપ્યું : ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ પંડિતોએ અમદાવાદની પીચની ભારે મજાક ઉડાવી : ICCએ ચૂપકીદી સેવી

અમદાવાદ, તા. ૨૮ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ અંગે ઉઠેલા વિવાદનો અંત આવતો નથી. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે બે દિવસમાં જ ઈંગ્લેન્ડની ટીમને માત આપી. જોકે, આ જીતની બીજી જ સેકન્ડથી પીચનો વિવાદ ઉઠ્યો છે. હવે પરિસ્થિતિ બની છે કે, અમદાવાદની પીચને લઈને ઉભેલા વિવાદ પર બે ગ્રૂપ પડ્યા છે. એક પીચની તરફેણ કરતા અને બીજુ પીચનો વિરોધ કરતા. જોકે, હજી સુધી આ વિવાદ પર પૂર્ણ વિરામ મૂકાયું નથી. તો સાથે જ હવે આ વિવાદમાં પીચ ક્યૂરેટર પણ ધસેડાઈ ચૂક્યા છે. જોકે, આઈસીસી તરફથી હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. ICC હજી આ મામલે ચૂપકીદી સેવીને બેસ્યું છે.

ઈંગ્લેન્ડના પૂર્વ પ્લેયર્સ અને ક્રિકેટ પંડિતોએ અમદાવાદની પીચની મજાક ઉડાવવામાં કંઈ બાકી ન રાખ્યુ. પરંતુ કેટલાક એવા છે જેઓ પીચના વખાણ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને લઈને ઈંગ્લેન્ડના દિગ્ગજો તૂટી પડ્યા છે. તો બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પીનર નાથન લોયન પીચની તરફેણમાં બોલ્યા છે. એટલુ જ નહિ, તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચના ક્યૂરેટરને ઓસ્ટ્રેલિયા આવવા આમંત્રણ પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે સીમિંગ કન્ડિશનમાં ટીમ ઓછા સ્કોર પર આઉટ થાય છે તો કોઈ કંઈ નથી કહેતુ. આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ૩ પેસર્સ અને એક સ્પીનર્સની સાથે ઉતરવાની રણનીતિ ચોંકાવનારી છે. મેં આખી રાત અમદાવાદમાં રમાયેલી મેચ જોઈ. તે શાનદાર હતી. હું ક્યૂરેટરને એસસીજીમાં લાવવા પર વિચારી રહ્યો છું.

જોકે, ઈંગ્લેન્ડની ટીમની આલોચના કેટલી યોગ્ય તેના પર પણ સવાલ થાય છે. ઈન્ડિયન ટીમને હોમ ગ્રાઉન્ડનો એડવાન્ટેજ મળ્યો છે. ભારતીય અને વિદેશની પીચમાં જમીન આસમાનનો તફાવત હોય છે. ઈન્ડિયન ગ્રાઉન્ડની પીચ આબોહવા મુજબ મેદાની હોય છે. જ્યારે કે વિદેશની પીચમાં આવુ હોતુ નથી. આવામા ઈન્ડિયન ટીમે પ્લેયર્સની પસંદગી પર પણ ધ્યાન ન આપ્યું તે પણ ચર્ચાઈ રહ્યુ છે. તો હાર મળ્યા બાદ હવે ઈંગ્લેન્ડના પ્લેયર્સ દોષનો ટોપલો પીચ પર નાંખી રહ્યાં છે. આ એ જ પીચ છે જ્યાં અનેક દિગ્ગજ પ્લેયર્સ બેવડી સદી ફટકારી ચૂક્યા છે. તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનાવાયેલી પીચ પર ખાસ ફોકસ કરાયુ છે. ઈન્ટરનેશનલ સ્તરના સ્ટેડિયમમા વિદેશમાંથી પણ માટી મંગાવાઈ હોવાનું કહેવાય છે. બાકી, ભારતીય ગ્રાઉન્ડ માટે ખાસ કરીને રાજસ્થાનની માટીનો ઉપયોગ કરવામા આવે છે. આવામાં પીચ પર સવાલ કરવા કેટલા યોગ્ય. BCCIના માર્ગદર્શન હેઠળ આખી પીચ તૈયાર કરવામાં આવી છે.

મોટેરાની પીચને લઈને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન, એલિસ્ટેયર કુક અને એર્ન્ડ્યુ સ્ટોસ સહિત કેવિન પીટરસન આલોચના કરી ચૂક્યા છે. માઈકલ વોને પણ ભારતીય પીચને જોરદાર મજાક ઉડાવી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખેડૂતની તસવીર પોસ્ટ કરી છે. જેની સાથે માઈકલ વોને લખ્યું કે, હું રિપોર્ટ કરી શુ છું કે, ચોથી ટેસ્ટની તૈયારી બહુ સારી ચાલી રહી છે.

જોકે, ભારતીય ક્રિકેટ જગતના પણ કેટલાક ખેલાડીઓ આ પીચની તરફેણમાં છે તો કેટલાક તેના વિરોધમાં. ભારતના હરભજનસિંહ અને વીવીએસ લક્ષ્મણ સહિત અનેક પૂર્વ ખેલાડીઓએ અમદાવાદની પીચને ક્રિકેટ માટે આદર્શ ન ગણાવી. તો દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસ્કરે પીચના વખાણ કર્યાં છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, પીચમાં કોઈ ખામી નથી. બેટ્સમેને બહુ જ રક્ષાત્મક વલણને કારણે પોતાની વિકેટ ગુમાવી છે. જેમાંથી મોટાભાગના સીધી બોલ પર આઉટ થયા છે. આ એ જ પીચ છે, જેના પર રોહિત અને ક્રાઉલીએ અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ રન બનાવી રાખવીને બદલે વિકેટ બચાવી રાખવા પર વિચારતુ હતું. મેચની ક્રેડિય અક્ષર પટેલને આપવી જોઈએ. જેમણે ખાસ બોલનો ઉપયોગ કર્યો.  તો પૂર્વ ક્રિકેટર્સ વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, આ ટેસ્ટ મેચ માટે આદર્શ પીચ નથી. એટલુ જ નહિ, ભારતીય બોલર્સ પણ તેના પર કામ શક્યા નથી. હરભજનસિંહનું પણ માનવુ છે કે, આ એક આદર્શ પીચ નથી. જો ઈંગ્લેન્ડ પોતાની પહેલી પારીમાં જ ૨૦૦ રન બનાવી લેત તો ભારત પણ સંકટમાં આવી જાત. પરંતુ બંને ટીમ માટે પીચ એકસરખી હતી. તો બીજી તરફ, યુવરાજ સિંહે પીચની આલોચના પણ કરી અને સાથે જ ભારતીય બોલર્સના વખાણ પણ કર્યાં. તેમણે ટ્વીટમાં કહ્યું કે, મેચ બે દિવસમા જ પૂરી થઈ ગઈ. કહી ન શકાય કે આ ટેસ્ટ ક્રિકેટ માટે સારું છે કે ખરાબ. જો અનિલ કુંબલે અને હરભજન સંહ આ પ્રકારની વિકેટ પર આ રીતે બોલિંગ કરતા તો તેમના નામ પર ૧૦૦૦ અને ૮૦૦ વિકેટ નોંધાતી.

(10:01 pm IST)