Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સરગમી શ્વાસ, સેવાનો પ્રકાશ અને લોકોનો વિશ્વાસ ગુણુભાઇ ડેલાવાળા : હેપ્પી બર્થ ડે

રાજકોટ : ઘડીયાલના કાંટા ચોટાડવાના બદલે સમયને પારખીને એની સાથે તાલ મિલાવતા રહેતા જાણીતા સમાજ સેવક શ્રી ગુણવંતભાઇ ડેલાવાળાએ આજે ગૌરવથી ગુંજતા જીવનના ૬૮માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. (જન્મ તા. ૧૩ સપ્ટેમ્બર ૧૯૫૪)

સાત સમંદર પાર સુધી સૌરભ મહેકાવતી સુપ્રસિધ્ધ સંસ્થા સરગમ કલબના સુપ્રીર્મો શ્રી ગુણવંતભાઇ ડેલાવાળાના જાહેર જીવનની માળામાં પરમાર્થથી પ્રકાશિત શ્રેણીબધ્ધ મોતીઓ છે. ૫૧ પ્રકલ્પો અને ૨૦ હજારથી વધુ સભ્ય સંખ્યાબળ સાથે તેમણે ઇતિહાસ સર્જયો છે. હેમુ ગઢવી નાટ્યગૃહ મુકિતધામ, ઇન્ડોર સ્ટેડીયમ, પ્લેનેટોરીયમ, ઇવનિંગ પોસ્ટ વગેરેનું સફળ સંચાલન તેમની યશકલગીના મહત્વના પીછા છે. ગુજરાત ફુટબોલ એશો.ના ઉપપ્રમુખ છે. સ્થાનિકથી માંડી દેશના ટોચના મહાનુભાવો સાથે તેમને આત્મીય સંબંધ છે. સંઘ અને ભાજપના રંગે રંગાયેલા છે. વિશ્વના અનેક રાષ્ટ્રોનો પ્રવાસ કર્યો છે. તેઓ બોલીને 'ફરવામાં'નહિ મોજથી ફરવામાં માને છે. દિલવાળા ડેલાવાળા ભૂતકાળમાં રૂડાના ચેરમેન હતા. તેઓ ચેરમેન હોય કે ન હોય, હંમેશા 'રૂડા' રહ્યા છે. કોને સંભાળી લેવા અને કોનું સાંભળી લેવું તે બાબત તેઓ જાણે છે. તેઓ માને છે કે ગુલાબની સાથે હંમેશા કાંટા રહેવાના પણ આપણો મતલબ સુગંધ સાથે છે. તેઓ ૬૮ વર્ષે પણ થનગનાટ સાથે સેવાકાર્યો કરી રહ્યા છે. સ્ફુર્તિ એવી ઠસોઠસ, ટકે વરસોવરસ..ગુણુભાઇની કાર્યશૈલી સારા માણસો શોધવાની નહિ, માણસમાં સારૂ શોધવાની છે. સારા માણસો શોધવા જઇએ તો થાકી જઇએ, માણસમાં સારૂ શોધીને તો ફાવી જઇએ..આજે ગુણુભાઇ પર જન્મદિનની વાદલડી વરસી, શુભેચ્છાના સરોવર છલી વળ્યા..

મો. ૯૮૨૪૦ ૪૦૮૮૯ રાજકોટ

(11:51 am IST)