Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

બોલીવુડના અનેક અભિનેતાઓને હતી વ્યસનની લતઃ જુદા-જુદા આઇડિયા કરીને બન્યા વ્યસન મુકતઃ રૂત્વિક રોશને પુસ્તકનો સહારો લીધો’તો

નવી દિલ્લી તા. ૨: સ્મોકિંગને કારણે તમારા સ્વાસ્થ્યને ભયંકર નુકસાન થાય છે, બધા જ લોકો એ વાત જાણે છે તેમ છતાં કોણ જાણે કેમ આ લત છોડતા નથી. ઘણા લોકો આજે પણ તમાકુ અને સ્મોકિંગની આદત છોડવા માટે કોશિશ કરતા હોય છે. આવામાં તમને જણાવી દઈએ કે ઘણા બોલીવુડ સ્ટાર્સ મોટા સ્મોકર્સ હતા. અમુક અભિનેતાઓ જે સિગારેટ વગર રહી પણ નહોતા શકતા. પરંતુ સમય સાથે અમુક કારણોસર કોઈએ સિગારેટ છોડી દીધી.

કહેવાય છેકે, કોઈ પણ શોખ જ્યારે આદત અને આદત જ્યારે લતમાં ફેરવાઈ જાય ત્યારે તે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે. સિગારેટ, દારૂ અને આ પ્રકારની નશીલી વસ્તુઓનું સેવન આપણી સાથો-સાથ આપણાં પરિવારને પણ દુઃખના ખપ્પરમાં લઈ જાય છે. આ પ્રકારની લતથી બોલીવુડના સિતારાઓ પણ બાકાત નથી.

રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને સંજીવ કુમાર એક જમાનામાં ચેઈન સ્મોકર કહેવાતા હતાં. કોઈકે સમય રહેતાં પોતાની જાતમાં સુધારો કર્યો તો કોઈકે ડોક્ટરના કહેવાથી મજબુરીમાં સ્મોકિંગ છોડવાનો વારો આવ્યો. આજના દોરમાં પણ સલમાન ખાન, અજય દેવગણ અને ઋતિક રોશન સહિતના અનેક સિતારાઓને સ્મોકિંગની ભયંકર આદત હતી. પરંતુ આ અભિનેતાઓએ કેવી રીતે સિગારેટ છોડી, અને છોડવા પાછળનું કારણ શું હતું? તે જાણવું પણ અગત્યનું છે. કદાચ આ સેલિબ્રીટીના જીવન પરથી ઘણા લોકોને પ્રેરણા મળી શકે એમ છે. અને જો તમે પણ સિગારેટ છોડવા માંગતા હોવ તો તેને અનુસરી શકો છો.

સલમાન ખાન (Salman Khan)
‘દબંગ’ સુપરસ્ટાર ખુબ ધુમ્રપાન કરતો હતો. પરંતુ આરોગ્યની સમસ્યાઓ વધતા તેણે વર્ષો પેહલા સિગારેટ છોડવાનું નક્કી કરી લીધું. સલમાને 2010 ની શરૂઆતમાં આ આદત છોડી દીધી હતી.

સૈફ અલી ખાન (Saif Ali Khan)
નવાબ સૈફના ફેન્સ ખુબ પ્રમાણમાં છે. પરંતુ ખુબ ઓછા લોકોને જાણ હશે કે આ અભિનેતાને માત્ર 36વર્ષની ઉંમરે હાર્ટએટેક આવ્યો હતો. અને તે સમયે સ્થિતિ ખુબ ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ અભિનેતાએ તબિયતને લઈને સજાગ રહેવાનું શરુ કરી દીધું. અને ધૂમ્રપાન કરવા જેવી આદતો હજુ સુધી ફરી લગાવી નથી.

ઋતિક રોશન (Hrithik Roshan)
પોતાની ફીટનેશ માટે ખુબ જાણીતા અભિનેતા ઋતિક રોશન પર સ્મોકર હતો. તેણે સ્મોકિંગ છોડવા માટે પુસ્તકનો સહારો લીધો. અભિનેતા Easy Way To Stop Smoking પુસ્તકને અનુસરે છે. ઋતિક રોશને અપનાવેલો આ ઉપાય તમે પણ આસાનીથી અનુસરી શકો એમ છો.

અર્જુન રામપાલ (Arjun Rampal)
બોલીવુડમાં શાનદાર ફિલ્મો આપી છે તે અભિનેતા અર્જુન રામપાલ એક સમયે ચેન સ્મોકર હતો. અહેવાલો અનુસાર તે ખુબ સિગારેટ પીતો હતો. પરંતુ લોકડાઉને તેનું જીવન બદલી દીધું. ગયા વર્ષે લોકડાઉનના સમયમાં બાળકો સાથે અભિનેતા સમય વિતાવતો હતો. અને તે દરમિયાન સિગારેટથી દુર રેહવાનું પસંદ કર્યું. અર્જુને તાજેતરમાં જ કહ્યું છે કે તેને સિગારેટ પીધે લગભગ એક વર્ષ ઉપર થઇ ગયું.

અજય દેવગણ (Ajay Devgan)
સિંઘમ અજય દેવગણ એક સમયે ખુબ સિગારેટ પીતો હતો. પરંતુ બાદમાં તેના પરિવારમાં સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ વધી જતા અજયે સિગારેટ છોડવાનું નક્કી કરી લીધું હતું.

(5:50 pm IST)