Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

બોલિવૂડમાં ‘ભુત બંગલા'ની ભારે બોલબાલાઃ જે પણ અભિનેતાએ ખરીદ્યો તેની કિસ્‍મત ચમકી ગઇ

નવી દિલ્હી: માયાનગરી મુંબઈમાં દરરોજ લોકો પોતાનું ભાગ્ય અજમાવવા માટે પહોંચી જતા હોય છે. આ માયાનગરીના એવા અનેક કિસ્સાઓ છે જે અંગે બહુ ઓછા લોકોને તેની જાણકારી હોય છે. દરેક કલાકાર ઈચ્છે છે કે તે પોતાની કરિયરમાં મોટો મુકામ હાંસલ કરે અને હંમેશા ફેન્સના હ્રદય પર રાજ કરતા રહે. આ માટે તેઓ કેટલું બધુ કરતા હોય છે. આવામાં સિતારાઓ અંધવિશ્વાસમાં પણ માનવા લાગે છે. આવો જ એક રસપ્રદ કિસ્સો મુંબઈના 'ભૂત બંગલા'નો છે. જેણે 2 સિતારાઓને સુપરસ્ટાર બનાવી દીધા.

આ બે સિતારાઓ માટે લકી

વાત જાણે એમ છે કે અહીં વાત થઈ રહી છે મુંબઈના કાર્ટર રોડ પર આવેલા એક ખુબસુરત બંગલાની. જેમાં રહીને રાજેશ ખન્ના અને રાજેન્દ્ર કુમારનું ભાગ્ય પલટાઈ ગયું. આ બંને સિતારાઓ પોતાના આ બંગલાને ખુબ જ પ્રેમ કરતા હતા. કહેવાય છે કે એક સમયે આ બંગલો 'ભૂત બંગલો' કહેવાતો હતો. પરંતુ આ બંને માટે આ બંગલો લકી સાબિત થયો.

60 હજાર રૂપિયામાં ખરીદ્યું ઘર

વર્ષો જૂની વાત છે. જ્યારે કાર્ટર રોડ પર આવેલા આ બંગલાને ત્યાંના લોકો ભૂત બંગલો કહેતા હતા. તેનો માલિક તેને ઓછા ભાવે વેચવા માટે તૈયાર હતો. તે વખતે રાજેન્દ્રકુમાર પોતાના પરિવાર માટે એક સારા ઘરની શોધમાં હતા. ત્યારે તેમને આ મકાન વિશે ખબર પડી અને તેમણે ફક્ત 60 હજાર રૂપિયામાં આ બંગલો ખરીદી લીધો.

રાજેન્દ્ર કુમારનું ભાગ્ય ચમક્યું

રાજેન્દ્રકુમારે આ ઘરને પોતાની પુત્રી ડિમ્પલનું નામ આપ્યું. આ બંગલામાં આવતા જ રાજેન્દ્રકુમારનું ભાગ્ય ચમકી ગયું. જે અભિનેતા થોડા સમય પહેલા સ્ટ્રગલ કરતો હતો તેની ફિલ્મો અચાનક હિટ જવા લાગી.

જ્યુબીલીકુમાર બની ગયા

આ સફળતા પાછળ જ્યાં એકબાજુ રાજેન્દ્રકુમારની મહેનત હતી ત્યાં એવું પણ કહેવાયું કે બંગલો તેમના માટે લકી રહ્યો. ત્યારબાદ તેમણે એકથી એક સફળ ફિલ્મો આપી. તેમને ઈન્ડસ્ટ્રીમાં જ્યુબિલીકુમાર નામ મળ્યું. તેઓ બોલીવુડના સૌથી અમીર સુપરસ્ટાર બની ગયા હતા. તેમના સ્ટારડમની સાથે સાથે તેમના આ બંગલાની પણ ખુબ ચર્ચા થવા લાગી હતી.

રાજેશ ખન્ના સામે રાજેન્દ્રકુમારે રાખી શરત

થોડા સમય બાદ ઈન્ડસ્ટ્રીમાં રાજેશ ખન્નાની એન્ટ્રી થઈ. તેમણે રાજેન્દ્રકુમાર સામે આ બંગલાને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. જેમ તેમ કરીને તેમણે રાજેન્દ્રકુમારને આ બંગલો વેચવા માટે મનાવ્યા જો કે અભિનેતાએ અહીં રાજેશ  ખન્ના સામે શરત મૂકી કે તેમણે બંગલાનું નામ બદલવું પડશે અને પછી તેઓ તેના માટે તૈયાર પણ થઈ ગયા હતા. તેમણે તે સમયે આ મકાન ફક્ત 3 લાખ રૂપિયામાં ખરીદી લીધુ હતું. તેમણે આ બંગલાનું નામ આશીર્વાદ રાખ્યું.

સુપરસ્ટાર બની ગયા રાજેશ ખન્ના

લોકો ભલે અંધવિશ્વાસમાં આવીને આ બંગલાને ભૂત બંગલા કહે પરંતુ તેણે સાચે જ સિતારાઓનું ભાગ્ય ચમકાવી દીધુ. રાજેન્દ્રકુમાર બાદ રાજેશ ખન્ના પણ જ્યારે આ ઘરમાં શિફ્ટ થયા તો તેમના સિતારા પણ બુલંદીમાં આવી ગયા. તેમણે અનેક સુપરહીટ ફિલ્મો સાઈન કરી અને તેમનું સ્ટારડમ ચરમ પર પહોંચી ગયું.

રાજેશ ખન્ના  બાદ શશિ કિરણ શેટ્ટીએ ખરીદ્યું

બીજી બાજુ આ ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ રાજેન્દ્રકુમારની હાલાત બગડવા લાગી હતી. બંગલો વેચવાના કારણે તેમનો પરિવાર પણ તેમનાથી ખુબ નારાજ હતો. રાજેશ ખન્નાએ આ બંગલાના પૈસા પણ હપ્તામાં આપ્યા હતા. 2012 બાદ રાજેશ ખન્નાના નિધન પછી તેમના પરિવારે આ ઘરને 90 કરોડ રૂપિયામાં ઓલ કાર્ગો લોજિસ્ટિક્સના ચેરમેન શશિ કિરણ શેટ્ટીને વેચ્યો હતો.

(5:21 pm IST)