Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જોરદાર ! રણવીરસિંહ જમ્‍યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી

રણવીરે કહ્યું કે ‘મને ગુજરાત પ્રત્‍યે પ્રેમ છે અને તેમાં પણ ખાસ કરીને મને ગુજરાતની સંસ્‍કૃતિ ખૂબ જ પસંદ છે

મુંબઇ તા. ૧૩ : બોલિવૂડ એક્‍ટર રણવીર સિંહ તેની અપકમિંગ ફિલ્‍મ ‘જયેશભાઇ જોરદાર'ના પ્રમોશનમાં વ્‍યસ્‍ત છે. ત્‍યારે એક ફોટોગ્રાફમાં રણવીર સિંહ ગુજરાતી થાળી જમતો જોવા મળી રહ્યો છે. રણવીર સિંહ અલગ-અલગ ૨૭ ગુજરાતી વાનગીથી ભરપૂર થાળી જમતો જોવા મળી રહ્યો છે. રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્‍મ ‘જયેશભાઇ જોરદાર'ના પ્રમોશન માટે ગુજરાત આવ્‍યો ત્‍યારનો આ ફોટો છે. બોલિવૂડ એક્‍ટર રણવીર સિંહ હવે મોટા પડદે ગુજરાતીનો રોલ ભજવતો જોવા મળશે. યશરાજ ફિલ્‍મ્‍સની ‘જયેશભાઇ જોરદાર'માં રણવીર સિંહ અને શાલિની પાંડે મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે. ગુજરાતના દિવ્‍યાંગ ઠક્કર ડિરેક્‍ટેડ ફિલ્‍મ ‘જયેશભાઇ જોરદાર'નું શૂટિંગ ગુજરાતના વિવિધ શહેરોમાં થયું છે.
એક્‍ટર રણવીર સિંહ અગાઉ બોલિવૂડ ફિલ્‍મ ‘રામ લીલા'માં ગુજરાતીના પાત્રમાં જોવા મળ્‍યો હતો અને હવે ‘જયેશભાઇ જોરદાર'માં પણ એક ગુજરાતીના રોલમાં જોવા મળશે, તે વિશે વાત કરતા રણવીરે કહ્યું કે ‘મને ગુજરાત પ્રત્‍યે પ્રેમ છે અને તેમાં પણ ખાસ કરીને મને ગુજરાતની સંસ્‍કૃતિ ખૂબ જ પસંદ છે. જયારે મેં ‘રામ લીલા' ફિલ્‍મમાં ગુજરાતી છોકરાનો રોલ કર્યો ત્‍યારે આખા વિશ્વમાં રહેતા તમામ ગુજરાતીઓ તરફથી મને અઢળક પ્રેમ મળ્‍યો હતો. હું આજે પણ જયારે કોઈ ગુજરાતીને મળું ત્‍યારે તેઓ ‘રામ લીલા'માં ભજવેલા મારા ગુજરાતી રોલને યાદ કરતા હોય છે. હું આશા રાખું છું કે ગુજરાતીઓને ‘જયેશભાઇ જોરદાર'નો મારો ગુજરાતી તરીકેનો રોલ ખૂબ જ પસંદ આવશે.
‘જયેશભાઇ જોરદાર' વિશે વાત કરતા એક્‍ટર રણવીર સિંહે કહ્યું કે, એક દિવસ મને આદિત્‍ય ચોપરાનો ફોન આવ્‍યો અને કહ્યું કે એક ચમત્‍કારી સ્‍ક્રિપ્‍ટ મળી છે. હું ઈચ્‍છું છું કે તું આ સ્‍ક્રિપ્‍ટ સાંભળે. હું આ સ્‍ક્રિપ્‍ટ સાંભળવા માટે પહોંચ્‍યો. દિવ્‍યાંગ ઠક્કર તદ્દન નવો છે અને અગાઉ ક્‍યારેય ડિરેક્‍શન નહોતું કર્યું. જયારે ‘જયેશભાઇ જોરદાર'ના ડિરેક્‍ટર દિવ્‍યાંગ ઠક્કરે મને આ ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટ સંભળાવી તો મને ખૂબ મજા આવી. હું ખૂબ જ હસ્‍યો, એટલું હસ્‍યો કે આંખમાંથી પાણી આવી ગયું. ‘જયેશભાઇ જોરદાર'ની વાર્તા મારા દિલને સ્‍પર્શી ગઈ
‘જયેશભાઇ જોરદાર'ના ડિરેક્‍ટર દિવ્‍યાંગ ઠક્કરે આ વિશે વાત કરતા જણાવ્‍યું કે આ ફિલ્‍મ કોમેડીની સાથે-સાથે ઈમોશનલ પણ છે. રણવીર સિંહ, ‘જયેશભાઇ જોરદાર'માં એક એવું પાત્ર ભજવી રહ્યો છે જે સમાજમાં પુરૂષ અને મહિલાના સમાન હકની વાત કરતો હોય છે. તેઓ માટે અવાજ પણ ઉઠાવે છે. ‘જયેશભાઇ જોરદાર'ના મેકર્સનો એવો પ્રયાસ છે કે આ ફિલ્‍મ દ્વારા લોકોનો સામાજિક વિચાર બદલાય. રણવીર સિંહ ફિલ્‍મ ‘જયેશભાઈ જોરદાર'માં ગુજરાતી યુવકના પાત્રમાં જોવા મળશે. વર્ષ ૨૦૨૦માં ઈડરિયા ગઢમાં બે દિવસ શૂટિંગ કર્યા બાદ રણવીરે ઈડરના બજારોમાં શૂટિંગ કર્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રણવીરે ઈડરના ટાવર વિસ્‍તારમાં શૂટિંગ કર્યું હતું. સ્‍થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે, ફિલ્‍મનું શૂટિંગ ચાલુ હોવાથી ઈડરના લોકોએ બજારો સ્‍વયંભૂ બંધ રાખ્‍યા હતા. શૂટિંગ દરમિયાન રણવીર એક્‍ટિવા પર બેસીને ઈડરની ગલીઓમાં ફરતો જોવા મળ્‍યો હતો.

 

(3:08 pm IST)