Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અભિનેત્રી દિયા મિર્ઝાએ સાહિલ સાંગા સાથે જીવનના 11 વર્ષ સાથે પસાર કર્યાઃ દિયાની ફર્સ્‍ટ લવ સ્‍ટોરીને હજુ પણ સિનેરસિકો યાદ કરે છે

અમદાવાદ: બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાએ પોતાના તમામ ફેન્સને વર્ષ 2021ની સૌથી મોટી સરપ્રાઈઝ આપી છે. તે 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરવાની છે. દીયાના લગ્નના સમાચાર આ સમયે ટ્રેન્ડ કરી રહ્યા છે. દરેક ઘણા ઉત્સાહિત છે અને આ નવા કપલને ઘણી શુભકામનાઓ આપી રહ્યા છે. આ ખાસ પ્રસંગે દીયાની ફર્સ્ટ લવ સ્ટોરીને પણ યાદ કરવામાં આવી રહી છે.

આ વાત બધા જાણે છે કે વૈભવ પહેલાં દિયાની જિંદગીમાં સાહિલ સાંગાનું ઘણું મહત્વ હતું. અભિનેત્રીએ સાહિલ સાથે પોતાની જિંદગીના 11 વર્ષ પસાર કર્યા છે. બંનેએ જિંદગીની અનેક ખૂબસૂરત પળો સાથે જીવી છે. 2009માં દીયા મિર્ઝાની પહેલીવાર સાહિલ સાથે મુલાકાત થઈ હતી. તે મુલાકાત પણ એક કામના કારણે હતી. સાહિલ દીયાને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવવા માટે ગયો હતો.

કઈ રીતે સંબંધ આગળ વધ્યો

ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત થવા લાગી. અને પ્રેમ સંબંધ આગળ વધવા લાગ્યો. પરંતુ કોઈએ પોતાના દિલની વાત કરી નહીં. જોકે 5 વર્ષ પછી સાહિલે દીયાની સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો. તે એકરાર પણ ઘણો ફિલ્મી રહ્યો. કેમ કે સાહિલે ન્યૂયોર્કના બ્રુકલીન બ્રીજ પર દીયાને પ્રપોઝ કર્યુ હતું. પોતાના ઘૂંટણ પર બેસીને સાહિલે દીયા સાથે આખી જિંદગી પસાર કરવાનું એલાન કર્યુ હતું.

2014માં સાહિલ-દીયાએ કર્યા લગ્ન

દીયાએ પણ સાહિલના તે એકરારનો સ્વીકાર કરી લીધો. અને પછી 18 ઓક્ટોબર 2014માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. સાહિલ સાંગા શીખ હતો. અને દીયા મિર્ઝા એક હૈદરાબાદી. એટલે બંનેના લગ્નમાં મિની ઈન્ડિયાના દર્શન થયા હતા.

લગ્નજીવનમાં ભંગાણ

સાહિલ અને દીયાનું લગ્નજીવન સારી રીતે ચાલ્યું રહ્યું હતું. જોકે લગ્નના થોડાક વર્ષોમાં બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવવાના શરૂ થયા. જેના કારણે 11 વર્ષનું લગ્નજીવન તૂટતું જોવા મળ્યું. અને પછી 2019માં સોશિયલ મીડિયા પર દીયાએ મોટી જાહેરાત કરી દીધી. તેણે પોસ્ટમાં લખ્યું કે 11 વર્ષ સુધી એકબીજાની સાથે રહ્યા પછી તેમણે એકબીજાની સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેણે એ પણ નોંધ્યું કે તે અને સાહિલ આગળ એકબીજાના મિત્ર રહીશું અને એક-બીજાને સન્માન આપતાં રહીશું.

સોશિયલ મીડિયા પર એવા સમાચાર પણ આવ્યા હતા કે કનિકા ઢિલ્લન સાથે સાહિલના સંબંધના કારણે દીયાએ સંબંધ તોડી નાંખ્યો. પરંતુ અભિનેત્રીએ આ તમામ સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા અને ખૂલીને કનિકાનો સપોર્ટ પણ કર્યો.

કોણ છે દીયાનો ભાવિ ભરથાર:દીયા મિર્ઝા હવે જીવનમાં આગળ વધી ગઈ છે અને તેણે ફરી એકવાર લગ્ન કરી લીધા છે. દીયાએ વૈભવ રેખી નામના વ્યક્તિ સાથે પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી છે. વૈભવ એક બિઝનેસમેન છે. દીયા અને વૈભવ બંને લોકડાઉન દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. વૈભવ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં રહે છે.

(4:56 pm IST)