Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ટીવી અભિનેત્રી નિશી સિંહનું નિધન

લાંબા સમયથી પેરાલિસિસથી પીડાતા ‘કુબૂલ હૈ' ફેમ

મુંબઇ,તા. ૨૦ : ‘કુબૂલ હૈ', ‘ઇશ્‍કબાઝ' અને ‘તેનાલી રામ' જેવી અનેક સિરિયલોમાં મહત્‍વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી નિશી સિંહએ રવિવારે બપોરે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. નિશી સિંહ ઘણા સમયથી પેરાલિસિસનો શિકાર હતા અને તેની આર્થિક સ્‍થિતિ પણ સારી નહોતી. જો કે, ટીવી અભિનેત્રી સુરભી ચંદના અને અન્‍ય ઘણા લોકોએ અભિનેત્રીની સારવાર માટે મદદ કરી હતી. નિશી સિંહના નિધનના સમાચારથી ટીવી ઈન્‍ડસ્‍ટ્રીમાં મૌન છે. નિશી સિંહે ૫૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

નિશી સિંહના પતિ સંજય સિંહ પણ લેખક અને અભિનેતા છે. સંજય સિંહે કહ્યું કે ‘૩ ફેબ્રુઆરીએ બીજા સ્‍ટ્રોક પછી નિશીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. આ વર્ષે મે મહિનામાં તેને ફરીથી સ્‍ટ્રોક આવ્‍યો હતો, ત્‍યારબાદ તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને થોડા દિવસો બાદ તે ઘરે આવી હતી. ભૂતકાળમાં, તેણીને ગળામાં ચેપની ફરિયાદ હતી, જેના કારણે તે કંઈપણ ખાઈ શકતી ન હતી. લિક્‍વિડ ડાયટ પર હતી. બે દિવસ પહેલા ૧૬ સપ્‍ટેમ્‍બરે તેમનો ૫૦મો જન્‍મદિવસ ઉજવ્‍યો હતો. તે વાત કરી શકતી ન હતી પણ ખૂબ જ ખુશ જણાતી હતી. સૌથી મોટી સમસ્‍યા એ છે કે તે ૩૨ વર્ષ સુધી મારી સાથે રહી અને મને આ રીતે છોડીને ચાલી ગઈ. અમારી દીકરીએ તેની માતાની સંભાળ લેવા માટે અભ્‍યાસ છોડી દીધો હતો. જયારે વ્‍યક્‍તિ હારે છે, ત્‍યારે તે બધી બાજુથી હારી જાય છે.

નિશી પોતાની પાછળ પતિ સંજય સિંહ અને બે બાળકોને છોડી ગયા છે. મીડિયા સાથે વાત કરતા સંજય સિંહે કહ્યું કે ઇન્‍ડસ્‍ટ્રીના ઘણા લોકોએ તેની મદદ કરી. જેમાં સુરભી ચંદના ઉપરાંત ગુલ ખાન, રમેશ તૌરાની, સિન્‍ટા પણ સામેલ છે.

(10:05 am IST)