Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

અભિષેક બચ્‍ચન અને કરિશ્‍મા કપુર સગાઇ કરી લગ્ન કરવાના હતા તે અફવા નહીં સચ્‍ચાઇઃ ફિલ્‍મ મેકર સુનિલ દર્શનનો ખુલાસો

‘હાં મૈને ભી પ્‍યાર કિયા' ફિલ્‍મ ફલોપ થતા બન્‍નેના સંબંધોનો અંત આવ્‍યો

મુંબઇઃ ફિલ્‍મ મેકર સુનિલ દર્શને અભિષેક બચ્‍ચન અને કરિશ્‍મા કપુરના લગ્ન બાબતે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્‍યું કે, બન્‍નેની સગાઇ થઇ હતી પરંતુ 2000ની સાલમાં આવેલી ફિલ્‍મ ‘હાં મૈને ભી પ્‍યાર કિયા' ફલોપ થવાથી બન્‍નેના સંબંધોનો અંત આવ્‍યો હતો.

બોલીવુડમાં ઘણીવાર રૂપેરી પડદે ચમકેલી જોડીઓ વાસ્તવિક જીવનમાં પણ લાઈફ લોંગ સાથે રહેવાનું કમિટમેન્ટ કરીને આગળ વધતી હોય છે. ઘણાં સિતારાઓના લવ અફેર ખાસા ચર્ચામાં પણ રહેતા હોય છે. એમાંથી કોઈનું ગાડું આગળ વધીને લગ્નમાં પરિણમે છે. તો ઘણાં કપલ્સ અધવચ્ચેથી જ રસ્તા બદલી નાંખે છે. તો કેટલાંક લગ્ન બાદ પણ અલગ અલગ રસ્તાઓ પકડે છે. આવી જ એક હીટ અને હોટ જોડી એટલે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર. એક સમયે આ જોડી લગ્ન કરવાની હતી. બચ્ચન પરિવારે પણ કરિશ્મા કપૂરને પોતાની વહુ માની લીધી હતી.

બૉલિવૂડમાં ક્યારે, ક્યાં કોઈની જોડી બની જાય અને ક્યારે કોઈ અલગ થઈ જાય, તેનો ખ્યાલ જ નથી આવતો. આવી જ એક જોડી હતી અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની. એક સમય હતો, જ્યારે અભિષેક અને કરિશ્માના અફેરની ચોતરફ ચર્ચા થઈ રહી હતી. અભિષેક અને કરિશ્માની સગાઈ પણ થઈ ગઈ હતી અને લગ્નના બંધનમાં પણ બંધાવાના હતા. જો કે કોઈ અગમ્ય કારણોસર બન્ને વચ્ચેના સબંધોનો અંત આવી ગયો. વર્ષે બાદ પણ લોકોના મનમાં અભિષેક અને કરિશ્માના સબંધ તૂટવાના કારણને લઈને સવાલો ઉઠી રહ્યાં છે. જેનો જવાબ ફિલ્મ મેકર સુનિલ દર્શને આપ્યો છે.

પોતાના એક ઈન્ટર્વ્યૂમાં સુનિલ દર્શને અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરના અલગ થવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. સુનિલ દર્શને અભિષેક અને કરિશ્મા સાથે 2000ની સાલમાં “હાં મૈને ભી પ્યાર કિયા” ફિલ્મમાં સાથે કામ કર્યું હતુ. બન્નેની એકસાથે આ એકમાત્ર ફિલ્મ હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ સાબિત થઈ અને આ સાથે જ તેમના સબંધોનો પણ અંત આવી ગયો.

સુનિલ દર્શને વધુમાં જણાવ્યું કે, અભિષેક અને કરિશ્માના સબંધો અફવા નહીં, પરંતુ સચ્ચાઈ હતી. તેઓ લગ્ન કરવાના હતા. તેમણે ખુદ કરિશ્મા અને અભિષેકની સગાઈમાં હાજરી આપી હતી, પરંતુ હાં મૈને ભી પ્યાર કિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન જ મને ખ્યાલ આવી ગયો હતો કે, અભિષેક અને કરિશ્મા મેડ ફૉર ઈચ અધર નથી. હું કાયમ વિચારતો હતો કે, શું ખરેખર આ બન્ને એકબીજા માટે બન્યા છે? આ ફિલ્મ બાદ અભિષેક અને કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ગઈ અને પછી અભિષેક બચ્ચને એશ્વર્યા રાય સાથે લગ્ન કરી લીધા. જ્યારે કરિશ્મા કપૂર સંજય કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. જો કે હાલ કરિશ્મા અને સંજયના પણ છૂટાછેડા થઈ ગયા છે.

(5:36 pm IST)