Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વેબ સિરીઝ મિર્ઝાપુરની બીજી સીઝન 23 ઓક્‍ટોબરે દર્શકો નિહાળી શકશે

નવી દિલ્હી: વેબ સીરીઝ મિર્ઝાપુરની બીજી સીઝનની રાહ જોઇ રહેલા દર્શકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં, આ સીરીઝની રિલીઝ ડેટ આજે સામે આવી છે. હવે તમે 'મિર્ઝાપુર 2' 23 ઓક્ટોબર 2020થી જોઇ શકો છો. ઉત્તર ભારતના આંતરિક ભાગમાં સ્થિત મિર્ઝાપુરની સીઝન 1 એ દર્શકોને બંદૂક, ડ્રગ્સ અને અરાજક્તાની એક અંધારાવાળી અને જટિલ દુનિયામાં લઇ ગયા હતા. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેંદુ શર્મા, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, હર્ષિતા શેખર ગૌડા, અમિત સિયાળ, અંજૂમ શર્મા, શીબા ચઢ્ઢા, મનુ ઋષિ ચઢ્ઢા અને રાજેશ તેલંગ જેવા કલાકારોની આ વેબ સીરીઝની વાપસીની રાહ દર્શકો ઘણા દિવસોથી હતી, જે હવે પૂર્ણ થઈ ગઇ છે.

એમેઝોન પ્રાઇમ વીડિયોની વેબ સીરીઝ 'મિર્ઝાપુર' ભારતમાં બનેલી કેટલીક સફળ વેબ સીરીઝમાંથી એક છે. નાના શહેરના ગેંગસ્ટર અને તેના ગુનાહિત દુનિયાથી સૌથી પ્રભાવિત થતા યુવાઓની સ્ટોરીને સુંદર રીતે લોકોની સામે રજૂ કરવામાં આવી કે મિર્ઝાપુરની દીવાનગી લોકોની વાતોમાં જોવા મળે છે. આમ તો મિર્ઝાપુરના લોકો કાલીન ભૈયાના પાત્રમાં પંકજ ત્રિપાઠી, ગુડ્ડૂ પંડિતના પાત્રમાં અલી ફઝલ, બબલૂ પંડિતના પાત્રમાં વિક્રાંત મેસી જેવા અભિનેતાને જાણે છે. પરંતુ એપિસોડ દર એપિસોડ જે રીતે મુન્ના ત્રિપાઠીના પાત્રએ રંગ પકડ્યો, ત્યારબાદ લાસ્ટ એપિસોડમાં તો દિવ્યેંદૂ શર્માએ બાકીના કલાકારોને સ્ક્રીન પ્રેઝેન્સના મામલે પાછળ છોડી દીધા.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 'મિર્ઝાપુર સીઝન 2' મુન્નાનું પાત્ર ઉભરી આવવાનું છે, જ્યાં તે કાલીન ત્રિપાઠીના ઉત્તરાધિકારી બનાવાની સાથે જ ગુડ્ડૂ પંડીત સાથે ટક્કર લે છે. માનવામાં આવી રહ્યું છે કે, મિર્ઝાપુરની સીઝન 2માં મેકર્સ દ્વારા દિવ્યેંદૂનો લુક વધુ ખતરનાક બનાવવામાં આવી શકે છે અને અલી ફઝલની સાથે તેની દુશ્મનીની સ્ટોરી અને ભયાનક રીતથી પરદા પર રજૂ કરવામાં આવી શકે છે.

(5:19 pm IST)