Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રણબીર કપૂર-આલિયા ભટ્ટ જોધપુરમાં: જન્મદિવસની ઉજવણી કે ડેસ્ટિનેશન વેડિંગની તૈયારી?

૨૮ સપ્ટેમ્બરના રોજ અભિનેતા રણબીર કપૂરનો ૩૯મો જન્મદિવસ છે

જોધપુર, તા.૨૭: બોલિવૂડના બહુ ચર્ચિત અને કયુટ કપલમાંના એક એટલે અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીરના જન્મદિવસના એક દિવસ પહેલા જોધપુર પહોંચી ગયા છે. કપલ જોધપુર એરપોર્ટ પર સાથે જોવા મળ્યું હતું. જોધપુરમાં બન્ને સાથે જોવા મળ્યા હોવાથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, તેઓ વેડિંગ વેન્યૂ નક્કી કરવા અહીં આવ્યા છે.

અભિનેતા રણબીર કપૂરનો ૨૮ સપ્ટેમ્બરના રોજ ૩૯મો જન્મદિવસ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટ ટાઇ ડાઇ ગ્રીન ડેનિમ જેકેટ તથા જીન્સમાં હતી. તો રણબીરે બરગંડી રંગના કેઝયુઅલ આઉટફિટ પહેર્યાં હતાં. બન્નેએ બ્લેક રંગના માસ્ક પહેર્યા હતા.

કદાચ બન્ને અભિનેતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા પહોંચ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે, તેઓ વેડિંગ વેન્યૂ નક્કી કરવા જોધપુર ગયા છે. નોંધનીય છે કે, ગયા વર્ષે રણબીરે મુંબઈમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે જન્મદિવસ પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. જેમાં માતા નીતુ કપૂર, બહેન રિદ્ઘિમા સહાની કપૂર અને આલિયા ભટ્ટ પણ હતી.

તમને જણાવી દઈએ કે, આલિયા અને રણબીર છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને ડેટ કરે છે. બન્નેએ વર્ષ ૨૦૧૮માં સોનમ કપૂરના લગ્નમાં પોતાના સંબંધોને ઓફિશ્યલ જાહેર કર્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં રણબીરે કહ્યું હતું કે, જો કોરોના ના હોત તો તેણે કયારના લગ્ન કરી લીધા હોત. આ વર્ષે નવું વર્ષ ઉજવવા કપલ પરિવાર સાથે રણથંભોર ગયું હતું ત્યારે પણ બન્નેના લગ્નની ચર્ચાઓએ ખુબ જોર પકડ્યું હતું. પણ તે વાત માત્ર અફવા સાબિત થઈ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે.

આ ઉપરાંત આલિયા ભટ્ટ 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'RRR', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' અને 'જી લે ઝરા'માં જોવા મળશે.

તો રણબીર કપૂર 'એનિમલ', 'શમશેરા'અને લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ઘા કપૂર સાથે જોવા મળશે.

(3:30 pm IST)