ફિલ્મ જગત
News of Tuesday, 4th October 2022

રીલીઝના દિવસે રૂા. ૧૫૦માં જોઇ શકાશે ‘ગુડબાય'

બ્રહ્મષા બાદ વધુ એક ફિલ્‍મ સસ્‍તામાં જોવા મળશે : અમિતાભ બચ્‍ચન, નીના ગુપ્તા અને રશ્‍મિકા મંદાના સ્‍ટારર આ ફિલ્‍મ ૭ ઓક્‍ટોબરે રિલીઝ થશે : ફિલ્‍મના મેકર્સ તરફથી ટૂંકો વિડીયયો શેર કરવામાં આવ્‍યો છે જેમાં અમિતાભ બચ્‍ચન ટિકિટ પ્રાઈસ અંગે વાત કરતાં જોવા મળે છે

મુંબઇ તા. ૪ : આગામી ફિલ્‍મ ગુડબાયની ફિલ્‍મની ટિકિટ રિલીઝ ડે માટે ઘટાડવામાં આવી છે. સોમવારે ફિલ્‍મના મેકર્સે જણાવ્‍યું કે, ગુડબાય જે દિવસે રિલીઝ થશે એ દિવસે દર્શકો ૧૫૦ રૂપિયામાં ફિલ્‍મ જોઈ શકશે.
ફિલ્‍મ ગુડબાય ૭ ઓક્‍ટોબરે સિનેમાઘરોમાં આવી રહી છે. અમે નક્કી કર્યું છે કે, ૭ ઓક્‍ટોબરે ગુડબાયની ટિકિટ ખાસ હશે. ટિકિટ ૧૫૦ રૂપિયામાં મળી જશે. મહેરબાની કરીને તમારા પરિવાર સાથે નજીકના થિયેટરમાં જાવ અને ફિલ્‍મ જુઓ. ત્‍યાં મળીએ, તેમ વિડીયોમાં અમિતાભ બચ્‍ચન કહેતા સંભળાય છે. ગુડબાય મૃત્‍યુ વચ્‍ચે જિંદગીને શોધતી, પ્રેમનો અહેસાસ કરાવતી પારિવારિક ફિલ્‍મ છે. ફિલ્‍મમાં પાવિલ ગુલાટી, એલી અવરામ, સુનીલ ગ્રોવર, અભિષેક ખન્ના અને સાહિલ મહેતા પણ મહત્‍વના રોલમાં છે.
અયાન મુખર્જીની ફિલ્‍મ બ્રહ્માષાની ટિકિટ નવરાત્રી દરમિયાન ૧૦૦ રૂપિયા રાખવામાં આવી હતી. નેશનલ સિનેમા ડે પર ફિલ્‍મની ટિકિટ ૭૫ રૂપિયા હતી ત્‍યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્‍ટારર આ ફિલ્‍મે ખાસ્‍સી કમાણી કરી હતી. જેથી નવરાત્રી દરમિયાન ટિકિટનો ભાવ ૧૦૦ રૂપિયા કરાયો હતો. અયાન મુખર્જીની આ બિઝનેસ સ્‍ટ્રેટજીને જોતાં ગુડબાયના મેકર્સે પણ ઓપનિંગ ડે પર ફિલ્‍મની ટિકિટ ૧૫૦ રૂપિયા રાખવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં જ અજય દેવગણની ફિલ્‍મ ‘દ્રશ્‍યમ ૨'ના મેકર્સે પણ આવી જ જાહેરાત કરી હતી. ‘દ્રશ્‍યમ ૨' તારીખ ૧૮ નવેમ્‍બરે થિયેટર્સમાં રિલીઝ થશે. ત્‍યારે દ્રશ્‍યમ ૨ના મેકર્સે એવી જાહેરાત કરી છે કે જે લોકો તારીખ ૨ ઓક્‍ટોબર, ગાંધી જયંતી નિમિત્તે ‘દ્રશ્‍યમ ૨'ની ટિકિટ બુક કરશે તેઓને ‘દ્રશ્‍યમ ૨'ની રિલીઝના દિવસે ટિકિટની કિંમતમાં ૫૦ ટકા રાહત મળશે. મતલબ કે તારીખ ૧૮ નવેમ્‍બરે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્‍મ દ્રશ્‍યમ ૨ રિલીઝ થતાં અડધી કિંમતે જોઈ શકાશે. આ ઓફર હેઠળ ‘દ્રશ્‍યમ ૨'ની ટિકિટ ૫૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ સાથે બુક કરી શકાય છે. દ્રશ્‍યમ ૨ માટે તેના મેકર્સે અલગ-અલગ થિયેટર્સ સાથે ડીલ કરી છે.

 

(11:52 am IST)