ભૂલ ભુલૈયા ૨: વિદ્યા બાલન મંજુલિકા બનીને ફરી ડરાવશે?
મુંબઇ,તા. ૧૦: વર્ષ ૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મ 'ભુલ ભુલૈયા'એ બોકસ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. હવે ટૂંક સમયમાં દર્શકોને આ ફિલ્મની સિકવલ જોવા મળશે. 'ભુલ ભુલૈયા ૨' આ વર્ષે બોકસ ઓફિસ પર રિલીઝ થશે. જેમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના બીજા ભાગને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ વિદ્યા બાલનની ભૂમિકાને લઈને અત્યાર સુધી સસ્પેન્સ હતું, જે અંગે અનીસ બઝમીએ સ્પષ્ટતા કરી છે.
વિદ્યા બાલને 'ભુલ ભુલૈયા'માં મંજુલિકા નામના ભૂતની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મની આખી વાર્તા તેની આસપાસ ફરતી જોવા મળી હતી. ચાહકોના મનમાં એક પ્રશ્ન હતો કે શું વિદ્યા ફરી એકવાર ભૂતનીના રોલમાં જોવા મળશે?
અનીસ બઝમીએ મંજુલિકાને 'ભુલ ભુલૈયા'ના તેમના પ્રિય પાત્ર તરીકે ગણાવ્યો છે. અનીસે કહ્યું કે જો આપણે 'ભુલ ભુલૈયા ૨' બનાવી રહ્યા છીએ તો તેમાં મંજુલિકા હોવી જ જોઈએ. જો કે, તેમણે આગળ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આપણે હવે આગળની વાતોને સરપ્રાઇઝ જ રહેવા દેવી જોઈએ.
બીજી બાજુ, વિદ્યા બાલનની વાત છે તો ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યું હતું કે તે આ ફિલ્મનો ભાગ નથી. જયારે વિદ્યાને પૂછવામાં આવ્યું કે શું તે 'ભુલ ભુલૈયા ૨'માં કામ કરવા માંગે છે, તો તેણે કહ્યું હતું કે બસ આ કહીને વાત પૂરી કરી દઇએ કે હું આ ફિલ્મમાં નથી. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મમાં શું સરપ્રાઈઝ જોવા મળશે.