ફિલ્મ જગત
News of Wednesday, 14th April 2021

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની વણઉકેલી કહાની ઉપરની ફિલ્‍મની ટીઝર રિલીઝ

નવી દિલ્હી: બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતની વણઉકેલી કહાની પર આ ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે. ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નામ 'ન્યાય: ધ જસ્ટિસ' છે. આ ફિલ્મમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂમિકામાં ઝૂબેર જોવા મળશે. ત્યારે શ્રેયા તેની ઓપોઝિટ રિયા ચક્રવર્તીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં અસારણી સુશાંતના પિતાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં એક વર્ષ પૂરા થતા પહેલા આ ફિલ્મ 11 જૂને રિલીઝ કરવામાં આવશે.

ટીઝર અને પોસ્ટર બંને રિલીઝ

વિકાસ પ્રોડક્શન અંતર્ગત બનેલી ફિલ્મ 'ન્યાય: ધ જસ્ટિસ'નું આજે પોસ્ટર અને ટીઝર બંને દર્શકોની સામે આવી ગયા છે. આ ફિલ્મ સુશાંતના મૃત્યુના વણઉકેલાયેલી કહાનીની આસપાસ ફરતી જોવા મળશે. સુશાંત સિંહ રાજપૂતના તમામ ચાહકો આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર 58 સેકંડનું છે, જેની શરૂઆત ખૂબ જ ધમાકેદાર છે.

આવું છે ટીઝર

ટીઝરની શરૂઆતમાં પ્રખ્યાક અભિનેતા મહિન્દર સિંહના મોત અંગે બ્રેકિંગ ન્યૂઝ દેખાળવામાં આવે છે, જેણે પોતાના ઘરે આત્મહત્યા કરી છે. જેમ જેમ ટીઝર આગળ વધે છે સુશાંત સિંહ રાજપૂતનો કેસ તમારી સામે આવશે. અનેક તપાસ એજન્સિઓ આ મામલે તપાસ કરતી જોવા મળશે. હેરાન પરેશાન એક્ટરનો પિતા જોવા મળશે અને સુશાંત કેસની જેમ આ ટીઝરમાં પણ એક્ટરની ગર્લફ્રેન્ડ હશે, જેની સતત પૂછપરછનો દોર દેખાળવામાં આવી રહ્યો છે.

ડાયરેક્ટરે જણાવ્યું ફિલ્મ બનાવવાનું કારણ

એનબીટીમાં છપાયેલા સમાચાર મુજબ, ફિલ્મના નિર્દેશક દિલીપ ગુલાટીએ કહ્યું કે, 'સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી હું ખૂબ જ આશ્ચર્ય પામ્યો હતો. હું તેને અંગત રીતે ઓળખતો નથી, પણ બીજા બધાની જેમ મને પણ તેના માટે એવું લાગ્યું કે જાણે કોઈ દૂર ગયો હોય. ફિલ્મ દ્વારા લોકો સંદેશ આપવા માંગે છે કે આત્મહત્યા કોઈ વિકલ્પ નથી. આ ફિલ્મ અભિનેતા માટે શ્રદ્ધાંજલિ છે.

(5:37 pm IST)