આ પાત્રએ મને ઘણું શીખવ્યું: શાહિર
શાહિર શેખે ટીવી પરદે અનેક અલગ અલગ ભુમિકાઓ નિભાવી છે. પરંતુ સોની પરના શો કુછ રંગ પ્યાર કે ઐસે ભી શોએ તેને વધુ ઓળખ આપી છે. આ શોમાં તે દેવ દિક્ષીતનું પાત્ર ભજવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે દેવના પાત્રમાંથી ઘણુંબધું શીખવા મળ્યું છે. મેં મારા આ પાત્રમાંથી અનેક એવી વસ્તુઓ છે જે મારી અસલી જિંદગીમાં પણ ઉતારી છે. દેવ એ એક પ્રેમાળ દીકરો, પ્રેમી, પતિ અને પિતાની ભૂમિકામાં છે. આ પાત્રનો જેમ-જેમ વિકાસ થયો છે તેમ-તેમ મારા એટલે કે શાહીરના વ્યકિતત્વનો પણ વિકાસ થયો છે. કોઇ પણ વ્યકિતની જિંદગીમાં અલગ અલગ પડાવ આવતાં હોય છે. જેમાં શારીરિક અને માનસિક બદલાવ પણ થતો હોય છે. દરેક રિલેશનશિપની પોતાની એક અલગ સફર હોય છે. મેં જ્યારે આ શો પસંદ કર્યો ત્યારે જિંદગી પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ અલગ હતો, પરંતુ શોના વિકાસની સાથે અને દેવના વિકાસની સાથે મારો પણ વિકાસ થતો ગયો છે. રિલેશનશિપ્સ અને લાઇફમાં આવતા પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે મને દેવના પાત્રએ શીખવ્યું છે. શાહિર સાથે આ શોમાં એરીકા ફર્નાન્ડીઝ મુખ્ય ભુમિકામાં છે.