કંઇક અલગ કરી દેખાડવા માટે આ શો યોગ્ય છેઃ અનેરી
ટીવી પરદા પર બેહદ અને અનુપમા સહિતના શોમાં કામ કરી જાણીતી બનેલી મુળ ગુજરાતી અભિનેત્રી અનેરી વજાની હવે રિયાલીટી શો ખતરો કે ખિલાડીમાં જોવા મળશે. અનેરી કહે છે મારા મગજમાં જે વિચાર આવે એ મુજબ કામ કરુ છું, ખોટા વિચારોમાં સમય નથી બગાડતી. રિયાલટી શો માટે હા કહેવાનું કારણ પણ આ જ છે. કંઇક અલગ કરી દેખાડવા માટે ખતરો કે ખિલાડી શો મારા માટે યોગ્ય છે. આ કારણે જ મને અનુપમા શો છોડવામાં દુઃખ નહોતું લાગ્યું. મને પહેલી વખત આ શો ઓફર થયો ત્યારે મેં નિર્માતાને સવાલ પુછ્યો હતો કે ખરેખર તમે મને લેવા ઇચ્છો છો? કંઇક અલગ કરવા માટે આ સમય યોગ્ય લાગ્યો હતો. હું ઉત્સાહી છું અને થોડી ચિંતીત પણ છું. મારા માટે દરેક સ્ટન્ટ ડરામણો બની રહેશે. કેમ કે જીવનમાં મેં કદી આ પ્રકારનો અનુભવ કર્યો નથી. મને ગીતો ગાવાનો અને ડાન્સનો પણ એટલો જ રસ અગાઉ હતો. પરંતુ હવે અભિનયમાં કારકિર્દી આગળ વધારીને ખુશ છું. કદાચ મારા નસિબમાં આ લખેલું હશે.