રાજકુમાર રાવ અને પત્રલેખા જોડાયા લગ્નગ્રંથિમાં
તસવીર શેર કરતાં અભિનેતાએ લખ્યું.. આખરે ૧૧ વર્ષના પ્રેમ, રોમાંસ, મિત્રતા અને મસ્તી પછી આજે મેં મારી તમામ વસ્તુ સાથે લગ્ન કરી લીધા છે
ચંડીગઢ,તા.૧૬: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ કપલના લગ્ન સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દંપતીએ ચંદીગઢના ઓબેરોય સુખવિલાસમાં એકબીજા સાથે સાત જન્મ સુધી જીવન વિતાવવાની પ્રતિજ્ઞા લીધી છે. લગ્નની તસવીરો શેર કરતા રાજકુમાર રાવે લખ્યું, 'આખરે ૧૧ વર્ષના પ્રેમ, રોમાંસ, મિત્રતા અને મસ્તી પછી, આજે મેં મારી તમામ વસ્તુ સાથે લગ્ન કરી લીધા છે, મારી પાસે જે કંઈ પણ છે, મારા જીવનસાથી, મારા શ્રેષ્ઠ મિત્ર, મારો પરિવાર. આજે મારા માટે તમારું તારો પતિ કહેવાથી મોટી ખુશી કોઈ નથી.'
રવિવારે જ રાજકુમાર અને પત્રલેખાની સગાઈનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. કિલપમાં અભિનેતા તેના મંગેતરને પ્રપોઝ કરવા માટે ઘૂંટણિયે જોઈ શકાય છે. બંનેએ એડ શીરાનના ગીત પરફેકટ સાથે રિંગ્સની એકબીજાને પહેરાવી હતી.
'સ્ત્રી' એકટર અને તેની લેડી લવ પત્રલેખા વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યા હતાં. જયારે રાજકુમારે મેચિંગ સ્નીકર્સ સાથે સફેદ કુર્તો પહેર્યો હતો, તો બીજી તરફ પત્રલેખાએ સફેદ અને સિલ્વર સ્લિટ ગાઉન પસંદ કર્યો હતો.
થોડા સમય પહેલા આ કપલના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું. જેમાં લખ્યું હતું, 'રાવ પરિવાર અને પોલ પરિવાર તમને પત્રલેખા અને રાજકુમારના લગ્ન માટે આમંત્રણ આપે છે. જે સોમવારે ૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ ઓબેરોય સુખવિલાસ ચંદીગઢ ખાતે છે.
લવ સ્ટોરીની વાત કરીએ તો રાજકુમાર રાવ પત્રલેખાને એડમાં જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તે જ સમયે જયારે પત્રલેખાએ ફિલ્મ 'લવ, સેકસ ઔર ધોકા' પછી રાજકુમાર રાવને વાસ્તવિક જીવનમાં જોયો, ત્યારે તેણે પોતાને તેમનાથી દૂર કરી દીધો કારણ કે તેને લાગતું હતું કે રાજકુમાર વાસ્તવિક જીવનમાં પણ એવો જ હશે. બંનેએ હંસલ મહેતાની ૨૦૧૪માં આવેલી ફિલ્મ સિટીલાઈટ્સ અને વેબ શો બોસઃ ડેડ/એલાઈવમાં પણ સાથે કામ કર્યું છે.