હાલમાં ટીવી પરદે કામ કરવાની ઇચ્છા નથી રોનિતને
રામ લખન ફિલ્મમાં આસીસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કર્યા પછી ૧૯૯૨માં જાન તેરે નામ ફિલ્મથી રોમાન્ટીક હીરો તરીકે અભિનય કારકિર્દી શરૂ કરનાર રોનિત રોયએ બોલીવૂડ ઉપરાંત ટીવી પરદે પણ ખુબ નામના મેળવી છે. બંને માધ્યમમાં તે કામ કરતો રહે છે. કસોૈટી જિંદગી કી, અદાલત, બંદીની સહિતના શોએ રોનિતને નાના પરદા ઉપર પણ મોટી ઓળખ આપી છે. હાલમાં તે ડિજીટલ પ્લેટફોર્મ પર સક્રિય બન્યો છે. તે ફરીથી ટીવી પરદે કામ કરવાનો છે તેવી વાત તેણે નકારી કાઢી છે. રોનિતે કહ્યું હતું કે હાલમાં તે કોઇપણ ટીવી શો સાથે જોડાવાનો નથી. અનુપમા શો સાથે તે જોડાઇ રહ્યાની વાતોને તેણે અફવા ગણાવી દીધી હતી. રોનિતે ટ્વીટ કર્યું હતું કે ડિજિટલ મીડિયા મારું નામ વિવિધ શો સાથે જોડી રહ્યું છે. પણ આ વાત ખોટી છે. હું હાલમાં કોઇ ટીવી શો સાથે જોડાયો નથી. રોનિતે કહને કો હમસફર હૈ, હોસ્ટેજીસ અને સાત કદમ જેવી વેબ સિરીઝ કરી છે. તે ક્રાઇમ શોને હોસ્ટ કરતો પણ જોવા મળ્યો હતો.