સફળતાની ખાત્રી જ હતીઃ કાર્તિક
અભિનેતા કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા-૨ ફિલ્મે જબરદસ્ત સફળતા મેળવી લીધી છે. આ ફિલ્મને મળેલી અણધારી સફળતાને પગલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો સંચાર થયો છે. સાથે કાર્તિક પણ સાતમા આસમાને વિહરી રહ્યો છે. તેની ધમાકા ખાસ અસર જન્માવી શકી નહોતી. પણ ભૂલભૂલૈયા-૨ જોઇને દર્શકો સતત તેના અભિયનના વખાણ કરી રહ્યા છે. કાર્તિક કહે છે આ ફિલ્મ મેં સ્વીકારી ત્યારથી જ આશા હતી કે તે ભરપુર સફળ થશે. ફિલ્મની કહાની પરિવાર, મિત્રો સાથે જોઇ શકાય તેવી છે. આથી દર્શકોના મોટા વર્ગ દ્વારા તે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ બનાવનારાઓને આ સફળતાનો પહેલો શ્રેય મળે છે. બોલીવૂડમાં હોરર કોમેડી વધુ બની નથી. કાર્તિકની મહેનત પણ આ ફિલ્મમાં ફળી છે. તે કહે છે હું દેશના દરેક રાજ્યમાં ગયો હતો અને દરેક દર્શકોએ મને પ્રેમથી આવકાર્યો એ જોઇ ગદગદિત થઇ ગયો હતો. હું ઇન્ડસ્ટ્રીમાં કોઇને ઓળખતો નહોતો, કોઇ મને ઓળખતું નહોતું. કોઇ મોટા સર્જકે મારી પહેલી ફિલ્મ નહોતી બનાવી. હું આજે પણ પહેલા જેવો જ છું. કાર્તિક કહે છે હવે હું મારા લક્ષ્યની નજીક પહોંચી રહ્યો છું.