Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બાવળાઃ બંધ પેપરમિલમાં ચોરીના ઇરાદે ઘુસેલા રાજકોટના ત્રણ ભાઇઓએ સિકયુરિટી ગાર્ડની હત્યા નિપજાવી હતી

મુળ રાજકોટના ભરત, બાબુ અને ગુલો હવે લાંબા સમયથી બાવળા પંથકમાં રહી રેકી કરી કારખાનાઓ, મિલોમાંથી કોપર-લોખંડની ચોરીઓ કરવાની ટેવ ધરાવે છેઃ રિમાન્ડની તજવીજ

 અમદાવાદ તા. ૨: બાવળામાં થયેલી હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ત્રણ સગા ભાઇઓ છે અને રાજકોટના છે. લોખંડ કોપરનો ભંગાર ચોરી કરવા આ ત્રણેય પેપરમિલમાં ઘુસ્યા હતાં. ત્યારે સિકયુરીટી ગાર્ડએ તેને ટપારતાં અને તેનો સામનો કરતાં ત્રણેયએ હત્યા નિપાજવી હોવાની વિગતો સામે આવતાં ચકચાર જાગી છે.

પોલીસે જેને પકડ્યા છે એ ત્રણ આરોપી ભરત દેવીપુજક, બાબુ દેવીપૂજક અને ગુલા દેવીપુજક મૂળ રાજકોટના છે પણ, છેલ્લા ઘણા સમયથી બાવળાના આસપાસના વિસ્તારમાં રહે છે અને ભંગારની ચોરી કરી વેંચીને ગુજરાન ચલાવવાની ટેવ ધરાવે છે. આ ત્રણેય ભાઇઓ પહેલા જ્યાં ચોરી કરવાની હોય ત્યાં રેકી કરતાં હતાં અને પછી છોરી કરવા ત્રાટકતા હતાં. ગત ૨૬મી જાન્યુઆરીના રોજ રજોડા ગામની સીમમાં પેપરમિલમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયા માહિતી મળી હતી કે રઝોડાની બંધ પેપર મીલમાં લોખંડ અને કોપરની ચોરી કરવાના ઇરાદે ત્રણેય ભાઇઓ ઘુસ્યા હતા. એ વખતે સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રભુભાઇ રાવળએ સામનો કરી બહાર નીકળી જવાનું કહેતાં ત્રણેયે ઉશ્કેરાઈ જઈ તકરાર કરી હતી અને તેને બેફામ માર મારી પેપરમીલમાં જ બાંધી દઈ અને ફરાર થઈ ગયા. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્ટ અને CCTVનાઆધારે ત્રણેય આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા હતા

આ ત્રણેય આરોપીઓ છેલ્લા ૨ વર્ષથી બાવળા વિસ્તારમાં અનેક નાની-મોટી ચોરીઓને અંજામ આપી ચૂકયાનું પોલીસ સમક્ષ કબૂલી રહ્યા છે. પરંતુ પોલીસ ચોપડે ફરિયાદ નહિ નોંધાઈ હોવાથી માત્ર એક જ ગુનામાં સંડોવણી સામે આવી છે. ત્યારે હત્યા કેસમાં વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

(4:18 pm IST)