Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ચોટીલા ડુંગર પર રાત્રી રોકાણ ન કરવાનું કારણ ડુંગર પર રાત્રે સિંહ આવતો હોવાની લોકોમાં માનયતા

પુજારીના મતે ડુંગર પર રાત્રી રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાયઃ આમ છતાં પુજારી સહિત પાંચ જણાને માતાજીએ મંજૂરી આપી છે

ચોટીલાઃ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર રાત્રી રોકાણ કરાતુ નથી, તેની પાછળ એવી માન્‍યતા છે કે, રાત્રે સિંહ આવે છે. આથી સાંજની આરતી બાદ પુજારી સહિતના લોકો ડુંગર નીચે ઉતરી જાય છે.

ચોટીલે ડાકલા વાગ્યા... આ ગીત દરેક ગુજરાતીના મોઢે ચઢેલું છે. ચોટીલા ધામ એટલે મા ચામુંડાનું ધામ. ચોટીલામાં ડુંગર પરના એક હજાર પગથિયા ચડી માના દર્શન થાય છે. અહીંનુ ચામુંડા માતાજીનું મંદિર દેશવિદેશમાં ખ્યાતિ પામેલું છે. લોકો અહીં દૂરદૂરથી બાધા પૂરી કરવા આવે છે. ચોટીલા પર્વત પર બિરાજતાં મા ચામુંડા ચોસઠ જોગણીઓ અને 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. દર વર્ષે ડુંગર પર બિરાજમાન માના દર્શન કરવા માટે લાખો ભાવિકો આવે છે. જેમાં નવરાત્રિ અને તેમાં પણ ખાસ કરીને આઠમના યજ્ઞના દર્શન કરવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ ચોટીલા ડુંગરની એક માન્યતા ભાગ્યે જ ભક્તોને ખબર છે. એ કે, ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઇ રોકાતુ નથી?

આ માન્યતા એવી છે કે, ચોટીલા ડુંગર પર આખો દિવસ ભક્તોની હાજરી રહે છે. પરંતુ સાંજ પડતા જ પૂજારી સહિત બધાને ડુંગર પરથી નીચે ઉતરી જવુ પડે છે. અહી મંદિરના પૂજારી પણ રાતે ડુંગર પર રોકાતા નથી. કહેવાય છે કે, રાતે કોઈ મનુષ્ય ડુંગર પર રહી શક્તુ નથી. આ પાછળ એક માન્યતા જોડાયેલી છએ. એ કે, ચોટીલા ડુંગર પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું. આ અંગે વિવિધ માન્યતાઓ છે. એવું પણ કહેવાય છે કે ડુંગર પર રાત્રે સિંહ આવે છે પણ ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગિરિ દોલતગિરિ ગોસાઇએ જણાવ્યું કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી. કહેવાય છે કે, આજે પણ પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે. માતાજીની રક્ષા કરે છે. 

રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે. એક હાથમાં  ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે. 

ચોટીલા ડુંગર ટ્રસ્ટના પૂજારી પણ કહે છે કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી.

(6:03 pm IST)