Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

બનાસકાંઠાના ડીસામાં સનાતન ધર્મની અનોખી પાઠશાળા ચલાવતી અમદાવાદની પિન્‍કી ગેલોત

બાળકો સનાતન ધર્મ સમજે અને તેનું અનુકરણ કરે તે માટે બાળકોને શિબિરમાં મોકલતા વાલીઓ

બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલ ત્રણ હનુમાન મંદિર ખાતે ઉનાળુ વેકેશન દરમિયાન સનાતન ધર્મના પાઠ શીખવતી અનોખી પાઠશાળા શરૂ કરવામાં આવી છે..જેનું નામ સનાતન ધર્મ શિબિર રાખવામાં આવ્યું છે.. અમદાવાદની પિન્કી ગેલોત નામની યુવતી બાળકોને ધર્મનું જ્ઞાન મળે રહી અને બાળકો સનાતન ધર્મને બાળપણથી જ સમજતા થાય તે માટે સનાતન ધર્મની પાઠશાળા ચલાવી રહી છે.

ઉનાળુ વેકેશનમાં બાળકો માટે સમર કેમ્પ યોજતા હોય છે અને વાલીઓ પણ બાળકોને સમર કેમ્પમાં મોકલતા હોય છે.. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ ત્રણ હનુમાન મંદિર ખાતે સનાતન ધર્મ પ્રત્યે બાળપણથી જ બાળકો આકર્ષાય અને સનાતન ધર્મના તમામ પાઠ શીખે તે માટે અનોખી પાઠશાળા શરૂ કરવામાં આવી છે. આ પાઠશાળા અમદાવાદમાં બી.કોમ કરીને ડીસામાં વસવાટ કરતી 26 વર્ષીય યુવતી ચલાવે છે. નાના નાના બાળકોની વચ્ચે બેઠેલી આ યુવતીનું નામ છે પિંકી ગેલોત..પિંકી ગેલોત એક શિક્ષિત યુવતી છે. અત્યારે પિંકી સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે બાળકોને સનાતન ધર્મ વિષે સમજણ આપી રહી છે.

પિંકીનું માનવું છે કે વર્તમાન સમયમાં દેશમાં હિન્દુ ધર્મના લોકો સનાતન ધર્મને ભૂલી રહ્યા છે અને તેની ગંભીર અસરો જોવા મળી રહી છે.. તો બીજી તરફ અન્ય ધર્મના લોકો દ્વારા સનાતન ધર્મને પૂરો કરવા માટે અલગ અલગ કાવતરા રચવામાં આવી રહ્યા છે અને આપણાં બાળકોમાં સનાતન ધર્મનું જ્ઞાન ન હોવાના લીધે આ બાળકો પણ તેમની આ ચાલમાં ફસાઈ રહ્યા છે.. જેને પગલે પિંકી ગેહલોત નવી પેઢીને સનાતન ધર્મનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને ઉનાળુ વેકેશનમાં બાળકોના નવરાશના સમયમાં પિંકી ગેલોત આ પાઠશાળામાં ધર્મ વિષેનું જ્ઞાન આપી રહી છે.

દરરોજ બાળકોને આ પાઠશાળાની શરૂઆતમાં પ્રાર્થના કરાવવામાં આવે છે ત્યારબાદ હિન્દુ ધર્મના વિવિધ દેવી દેવતાઓ વિષે સમજણ આપવામાં આવે છે. તે બાદ વેદ ઉપનિષદો સાથે સાથે સનાતનધર્મનું જ્ઞાન અને જીવન જીવવાના સંસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ ભજન કીર્તનની સાથે સાથે અલગ અલગ ધૂનમાં બાળકોને નૃત્ય કરાવવામાં આવે રહ્યા છે.. પિંકી ગેલોતનો હેતુ છે કે જેવી રીતે અન્ય ધર્મોની શૈક્ષણિક સંસ્થાઓ હોય છે તેવી હિન્દુ ધર્મની પણ એક અલગ શૈક્ષણિક સંસ્થા બને કે જ્યાં બાળકોને અભ્યાસ શિવાય ધર્મનું જ્ઞાન મળી રહે.

ડીસામાં જે વેકેશન દરમિયાન પાઠશાળા શરૂ કરવામાં આવી છે તેમાં સનાતન ધર્મનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ સનાતન ધર્મ જ્ઞાન લેવા માટે 5 થી માંડીને 15 વર્ષ સુધીના 100 થી પણ વધુ બાળકો આવે છે.. તેમજ બાળકોને તેમના વાલીઓ સનાતન ધર્મ શિબિરમાં લઈને આવે છે અને ધર્મ શિબિરમાં આવતા બાળકોનો ધર્મના પાઠ શીખવાથી તેમનો વહેવાર પણ બદલાયો છે.

ડીસામાં સનાતન ધર્મ વિશે બાળકો સમજે અને તેનું અનુકરણ કરે તે માટે ડીસાના રહીશો પોતાના બાળકોને આ સનાતન શિબિરમાં મોકલી રહ્યા છે અને પોતાના બાળકોમાં બદલાવ અને ધર્મ પ્રત્યેના જ્ઞાન અને રુચિના કારણે તેવો બાળકનું વર્તન બદલાતું જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. મારુ બાળક અહીં આવે છે અમને પગે લાગે છે ધ્યાન કરે છે ધર્મ વિશે સમજતું થયું છે જેથી અમે આ શિબિર ચલાવનાર બહેનનો આભાર માનીએ છીએ.

ડીસામાં પાઠશાળાના નામે ચાલતી સનાતન ધર્મ શિબિર 1 જૂને પૂર્ણ થવાની છે આ શીબીર પૂર્ણ થવાના દિવસે ત્રણ હનુમાન મંદિર ખાતે ભક્તો દ્વારા સરસ્વતી જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં માત્ર 5થી 15 વર્ષના બાળકો જ બેસશે અને બાળકો દ્વારા જ યજ્ઞ કરીને યજ્ઞમાં આહુતી આપવામાં આવશે..જોકે આ પાઠશાળામાં બાળકો આવીને ધાર્મિક પ્રવૃતિઓ કરતા થતા આ શિબિર ચલાવનાર સંયોજકો આવા સનાતન ધર્મ શિબિરો વધુ શરૂ થાય તેવી અપીલ કરી રહ્યા છે.

આધુનિક અને સોશયલ મીડિયાના યુગમાં બાળકો પોતાના ધર્મ અને સંસ્કારોથી દૂર જઈ રહ્યા છે અને બાળકોને નાનપણથી જ સનાતન ધર્મ અને સંસ્કારો મળી રહે તે માટે ઉનાળુ વેકેશનમાં પાઠશાળાના નામે ચાલતી સનાતન ધર્મ શિબિર ઉપયોગી સાબિત થઈ રહી છે.

(6:12 pm IST)