Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

કુંવરપરા નજીક કેળા ભરેલી ટ્રક પર બેઠેલા મજૂરોને કરંટ લાગતા એકનું મોત : 2 ને ઇજા થતા સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા થી કેળા ભરવા ગયેલી ટ્રક પરત ફરતા ટ્રક ઉપર બેઠેલા મજૂરોને કરંટ લાગતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે ને ઇજાઓ થતા રાજપીપળા સિવિલમાં સારવાર માટે લવાયા છે.
સિવિલ ખાતેથી મળતી માહિતી અનુસાર તા.31 જુલાઈની સવારે રાજપીપળા થી ભુછાડ તરફ ના ખેતરોમાં કેળા ભરવા ગયેલી ટ્રક બપોરે ત્રણેક વાગે પરત રાજપીપળા આવતી હતી ત્યારે ટ્રકમાં ભરેલા કેળા પર 10 થી 12 મજૂરો બેઠા હોય ટ્રક કુંવરપરા ફાટક નજીક નહેરમાંથી પસાર થતા ત્યાં ઉપરથી જતો જીવંત વીજ વાયર અડી જતા ટ્રક ઉપર બેઠેલા મજૂરોને ઝાટકો લાગતા કેટલાક મજૂરો કૂદી જતા તેમનો બચાવ થયો હતો જ્યારે ઇજા પામનારમાં વિષ્ણુભાઈ ગફુરભાઈ વસાવા,(૧૮)  (રહે.રાણીપુરા,નાંદોદ) ને જોરદાર કરંટ લાગતા તેનું મોત થયું હતું અને અજય સુરેશભાઈ વસાવા તથા અનિલ કિશોરભાઈ વસાવા( બંને રહે.ટેકરા ફળીયા) ને ઇજાઓ થતા તેમને રાજપીપળા સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

(10:56 am IST)