Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વરસાદી સિસ્‍ટમ પાકિસ્‍તાન તરફ ફંટાઈ જતાં ગુજરાતમાં હાલ તુરંત વરસાદનું સંકટ ટળ્‍યુ: ભરૂચમાં નર્મદાની સપાટી વધતા પાંચ ગામોમાં મુશ્‍કેલી

અમદાવાદ: ભારે વરસાદથી તરબોળ થયેલા ગુજરાતમાં હાલ ચોમેર પાણી પાણી છે. જેમાં નર્મદા નદીને કારણે ભારે તારાજી સર્જાઈ છે. તો સૌરાષ્ટ્રની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આવામાં રાજ્ય માટે રાહતના સમાચાર આવ્યા છે. વરસાદ મામલે રાજ્ય માટે મોટા સમાચાર આવ્યા છે કે, વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઇ છે. હવે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી નથી. રાજ્યમાં અત્યાર સુધુ 121 ટકા વરસાદ થયો છે.

ભરૂચમાં ફરી ચેતવણી

ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટી પર વહી રહી છે. આવામાં ફરીથી સ્થાનિકોને સાવધ રહેવા સતર્ક કરાયા છે. ભરૂચ કલેક્ટરે ટ્વિટ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. કલેક્ટરે જણાવ્યું કે, બપોરના 12.00 કલાકે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું જળસ્તર 34.76 ફૂટ નોંધાયુ છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ છે. CWC ના ફોરકાસ્ટ અનુસાર બપોરે 4.00 કલાકે જળસ્તર 35 ફૂટની સપાટી વટાવી 35.24 ફૂટ થવાની સંભાવના છે. ત્યારે લોકોને સાવચેત રહેવા અનુરોધ છે.

નર્મદા કાંઠાના પાંચ ગામો મુશ્કેલીમાં

સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે નદી કિનારાના ગામોની પરીસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. ત્યારે નર્મદા પાંચ જેટલા ગામો હાલ બેટમાં ફેરવાયા છે. જેમાં મુખ્ય શહેરાવ ગામ છે. જેની આજુ બાજુમાં આવેલ વાંદરીયા, તરસાલ, રામપુરી, સોઢલીયા ગામો બેટમાં ફેવાયા છે. અહીં ફસાયેલા ગ્રામજનોએ જીવનજરૂરી વસ્તુઓ માટે બે હોડકા બોટની સગવડ જાતે કરી કામ ચલાવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી નર્મદા બંધમાંથી છોડાતા પાણી ને કારણે સહેરાવ ગામ આખેઆખુ બેટમાં ફેરવાયું છે. સહેરાવ ગામ 2500 થી 3000 લોકોની વસ્તી ધરાવે છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની આજુ બાજુના ગામો પણ બેટમાં ફેરવાતા એક ગામમાંથી બીજા ગામમાં જવા કે આવશ્યક સેવાઓ માટે આરોગ્યની સેવાઓ માટે બોટના સહારે ગ્રામજનો બહાર જઈ રહ્યા છે. આજે આ ગામો બોટમાં ફેરવાયાને પાંચમો દિવસ થયો છે. ગામની 80 ટકા ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે. ત્યારે લોકડાઉનમાં કેળા, કપાસ શાકભાજી સહિત પાકો વેચાયા નથી, ને ખોટ ગઈ છે. હવે નવી ખેતી ઉગાડી ત્યારે આ નર્મદાના પાણી ભરાતા આ વર્ષે પણ ખેડૂતોની મુશ્કેલી વધી છે. હાલ પાણી નર્મદા બંધમાંથી ઓછું થાય અને પાણી ઓસરે વાહન વ્યવહાર ચાલુ થાય એમ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

(5:28 pm IST)