Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ગુજરાતમાં જળવાયુ પરિવર્તનથી વરસાદની સ્‍થિતિ બદલાઈ : સૂકા પ્રદેશોમાં હવે પૂર આવવા લાગ્‍યા

જુનાગઢ: દેશ અને દુનિયામાં પર્યાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે અને વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ જળ વાયુ પરિવર્તનની અસરો ખૂબ મહત્વની છે. ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણમાં જે ફેરફાર થઈ રહ્યો છે, તેના કારણે આજે સૂકા પ્રદેશો પણ જળબંબાકાર નજરે પડે છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, તેથી ખેતીની દ્રષ્ટિએ વધુ વરસાદને બદલે યોગ્ય વરસાદ પડે તો જ ખેતીને ફાયદો થઈ શકે તેમ છે. તેથી આવનારા દિવસોમાં વરસાદની બદલાતી પેટર્નને લઈને કૃષિ પ્રણાલીમાં ફેરફાર કરવો પડે તો નવાઈ નહીં.

સૌરાષ્ટ્ર પંથક અને આમ તો સમગ્ર રાજ્યની જો વાત કરીએ તો ચાલુ વર્ષે બમણો વરસાદ વરસ્યો છે. વરસાદ વધુ પડે એના ક્યાંક ફાયદા થતાં હોય છે, તો ક્યાંક નુકશાન પણ થતું હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, 1983 માં વરસાદે ભારે તારાજી સર્જી હતી. તે સમયે જૂનાગઢ જીલ્લામાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને માત્ર ચાર વર્ષ પછી એટલે કે 1987 માં દુષ્કાળ પડ્યો હતો, ત્યારે જૂનાગઢ જીલ્લામાં માત્ર 5.5 ઈંચ વરસાદ નોંધાયો હતો અને ચાલુ વર્ષે હજુ ચોમાસું વિધિવત ચાલુ છે, ત્યાં સુધીમાં 65 ઈંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. આમ વરસાદની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. હાલમાં પણ વરસાદ ચાલુ છે, સામાન્ય રીતે ભાદરવામાં તડકા પડતાં હોય પરંતુ હાલ તો વરસાદી માહોલ છે.

આ બાબત વાતાવરણમાં, પર્યાવરણમાં આવેલા ફેરફારો દર્શાવે છે. વાતાવરણ જે રીતે પ્રદુષિત થઈ રહ્યું છે તેની સીધી અસર હવે વર્તાઈ રહી છે. લોકડાઉન સમયે અંદાજે ત્રણ મહિના સુધી વાહનો બંધ હતા, લોકો ઘરોમાં હતા, ત્યારે વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ઘટી ગયું હતું. આ બાબત સૂચવે છે કે માણસે હવે પ્રકૃતિ માટે જાગૃત થવું જ પડશે.

જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આગામી સમયમાં તેને અનુરૂપ યોજનાઓ પણ સરકારે પણ વિચારવી પડશે, હાલ જે વરસાદ થયો તે 100 ટકાથી વધુ થયો. વરસાદ 100 ટકા થાય એટલે આપણી પાણીની સંગ્રહશક્તિ પણ 100 ટકા હોય તે જરૂરી નથી. વરસાદી પાણીનો સંપૂર્ણ સંગ્રહ પણ કર્યો હોય તો પણ 100 ટકાથી વધુ વરસાદ થતાં અડધો અડઘ પાણી તો સમુદ્રમાં જતું રહે છે.

આ વિશએ જુનાગઢના કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગના પ્રોફેસર એમસી ચોપડા કહે છે કે, આ પરિસ્થિતિમાં જળસ્ત્રોતોમાં સંગ્રહ શક્તિનો વધારો કરવો પણ આગામી દિવસોમાં જરૂરી બનશે. ખેતી માટે વરસાદ જરૂરી અવશ્ય છે, પરંતુ એટલો નહીં કે પાકનું ધોવાણ થઈ જાય. અનેક એવા ક્ષેત્રો છે, જ્યાં વરસાદી પાણીએ ખેતી પાકોનું ધોવાણ કરી નાખ્યું, ખેતી પાકો માટે વધુ વરસાદ જરૂરી નથી. પરંતુ વરસાદનું યોગ્ય વિતરણ જરૂરી છે, યોગ્ય સમયે જરૂર પૂરતો વરસાદ વરસે તો ખેતી પાકોને ચોક્કસ ફાયદો થાય. પરંતુ એકસાથે વરસી જતાં વરસાદથી ખેતી પાકોને નુકશાન થાય છે. આમ કુદરતના ક્રમમાં જે ફેરફારો થઈ રહ્યા છે તેને લઈને લોકોએ હવે ખાસ કરીને પર્યાવરણ માટે જાગૃત બનવું પડે તે જરૂરી બન્યું છે.

(5:31 pm IST)