Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

બૂટની દોરી બાથરૂમના નળ સાથે બાંધી યુવકે ખાધો ફાંસો

પોલીસ સ્ટેશન પરિસરમાં યુવકે ફાંસો ખાધોઃ પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનેલી ઘટનાની જાણ થતાં જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

વલસાડ, તા.૩૦ : વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના પરિસરમાં આવેલા બાથરૂમમાંથી એક યુવકનો ગઈ કાલે ગળેફાંસો  ખાધેલી હાલતમાં શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનેલી ઘટનાની જાણ થતાં જ જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.અને ઘટનાની તપાસ માટે પારડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના પરિસરમાં મુલાકાતીઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શૌચાલયમાં સાંજના સમયે એક યુવકને ગળે ફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશન પરિશર બનેલી ઘટનાની જાણ થતા જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને બનાવની તપાસ માટે પારડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવકનું નામ પદમ નેપાળી  હતું. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને  રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં બનતી આવી  શંકાસ્પદ મોતની ઘટનાઓ ને લઈ પોલીસ ની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે પારડી પોલીસ સ્ટેશનમાં પણ બનેલી આ ઘટના અનેક સવાલો ઊભા કરે છે. પોલીસ સ્ટેશન પરિસરમાં જ યુવકના શંકાસ્પદ હાલતમાં બાથરૂમ માંથી મળી આવેલા મૃતદેહના મામલામાં યુવકે આપઘાત કર્યો છે કે તેના મોતનું કારણ કઈ બીજું છે ? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

જોકે આ મામલે હવે વલસાડ પોલીસે સત્તાવાર નિવેદન આપ્યું છે. જે મુજબ મૃતક પદમ નેપાળી નેપાળમાં રહેતો હતો અને  વલસાડ જિલ્લાના ઉમરગામ રહેતા તેના ભાઈની પાસે જઈ રહ્યો હતો. નેપાળથી નીકળ્યા બાદ તેના ભાઈ સાથે મોબાઇલ પર સંપર્ક પણ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.

પોલીસ મુજબ મૃતક પદમ  નેપાળી પારડી પોલીસ સ્ટેશનમાં આવી અને પી.એસ.ઓ સાથે વાત કરી હતી. અને  તે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પણ ફરતો સીસીટીવી ફુટેજમાં દેખાયો હતો. જોકે ત્યારબાદ  પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનાવવામાં આવેલા શૌચાલયની અંદર થી પદમ નેપાળીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ નો દાવો છે કે મૃતક પદમ નેપાળી એ પોતાના કમર પટ્ટા અને બૂટની દોરી બાથરૂમના નળ સાથે બાંધી ફાંસો ખાધો હોવાનો દાવો પોલીસ કરી રહી છે. જોકે બાથરૂમ ના નળ સાથે કોઈ વ્યક્તિ કેવી રીતે ગળે ફાંસો ખાઈ શકે તે વાત લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જોકે અત્યારે તો પોલીસે મૃતક પદમ નેપાળીના ઉમરગામમાં રહેતા ભાઈની પૂછપરછ કરી હતી અને મૃતદેહના સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

(9:02 pm IST)