Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કળીયુગમાં પણ ચમત્‍કાર થયોઃ કરજણ તાલુકાના કેરોલી ગામની નર્મદા નદીમાં સાડા ચાર કિલો વજનનો પથ્‍થર પાણીમાં તરવા લાગ્‍યો

પથ્‍થરને નર્મદા મૈયાનો ચમત્‍કાર માનીને મંદિરમાં પુજામાં મુકાયો

Photo: 05

નર્મદા: કળિયુગમાં પણ ચમત્કાર થાય છે. આજે પણ ધર્મ અને આસ્થા કાયમ છે. રામાયણમાં લંકા સુધી પહોંચવા માટે ભગવાન રામે તરતા પથ્થરોનો સહારો લીધો હતો. આજે પણ એ વાત ઈતિહાસમાં અમર છે. ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદામાં ચમત્કાર થયો છે. નર્મદા નદીમાં તરતો પથ્થર મળી આવ્યો છે. સાડા ચાર કિલો જેટલા વજનનો તરતો પથ્થર નદીમાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. લોકોએ આ વાતને ચમત્કાર ગણી છે.

લોકોમાં વાયુવેગે આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ છે. કરજણ તાલુકાનું દેરોલી ગામ નર્મદા નદીના કાંઠે આવેલુ છે. જેમાં ગામના ત્રણ લોકો નદીમાં બુધવારે માછીમારી કરવા ગયા હતા. તેઓને નદીમાં એક વજનદાર વસ્તુ તરતી દેખાઈ હતી. તેમણે ધ્યાનથી જોયુ તો તે પથ્થર હતો. લગભગ સાડા ચાર કિલોના વજનનો આ પથ્થર હતો. આ જોઈને ત્રણેય માછીમારો આશ્ચર્ય પામ્યા હતા, કે આટલો વજનદાર પથ્થર આખરે કેવી રીતે નદીની સપાટી પર તરી રહ્યો છે. તેણે આ વસ્તુ ચકાસી જોવા તેને નદીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો, પણ પથ્થર ડૂબ્યો નહિ. ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા માછીમારો આ પથ્થરને ગામમાં લઈ આવ્યા હતા.

તરતા પથ્થરની વાત અને ચમત્કારની વાત લોકોમાં પ્રસરી ગઈ હતી. જેથી મોટી સંખ્યામાં તેને જોવા માટે લોકો દેરોલી ગામમાં ઉમટી પડ્યા હતા. લોકોએ રામાયણમાં આ કિસ્સો વાંચ્યો હતો, જેને પોતાની નજરે જોયો હતો. આખરે આ પથ્થરને નર્મદા માતાજીના મંદિરમાં મૂકવામાં આવ્યો છે.

હાલ મોટી સંખ્યામં શ્રદ્ધાળુઓ પથ્થરને જોવા મંદિર આવી રહ્યાં છે. આ પથ્થરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી લોકો તેને નર્મદા મૈયાનો ચમત્કાર કહી રહ્યા છે.

(5:13 pm IST)