Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કાંકરેજના શિહોરીમાં દાદી અને પૌત્રની હત્યાથી ગ્રામજનોમાં રોષ : બજાર બંધ કરાઈ

પુત્ર મુકેશભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા

બનાસકાંઠા વિસ્તારમાં દાદી અને પૌત્રની કરુણ હત્યાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હત્યાને પગલે જિલ્લાના શિહોરી બજારને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બનાવને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે એક રહેણાંક મકાનમાં દાદી પૌત્રની હત્યા થઈ હોવાની ઘટના બની છે. મુકેશભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા. તે દરમિયાન આજે મુકેશભાઈએ તેમની માતા અને પુત્રના ખબર અંતર પૂછવા માટે મોબાઈલ પર કોલ કર્યો હતો.

જો કે, ફોન પર જબાવ ન મળતા તેઓ પરેશાન થઈ ગયા હતા. જેથી તેઓએ માતાની બાજુમાં રહેતા એક સંબધીને ફોન કર્યો હતો અને તેમની માતા સાથે વાત કરાવવા માટે જણાવ્યું હતું. જેથી તે મુકેશભાઈની વાત કરાવવા માટે તેમની માતા પાસે ગયા હતા. તેઓ ઘરમાં પ્રવેશ કરતા સુશીલાબેન અને તેમનો પૌત્ર ધાર્મિકની હત્યા કરાયેલી લાશ જોવા મળતા જ તેઓ ગભરાઇ ગયા હતા. જેથી તેઓએ તાત્કાલિક આસપાસના લોકોને આ અંગે જાણ કરીને બોલાવ્યા હતા. આ બનાવની જાણ લોકોએ તાત્કાલિક પોલીસને કરી હતી.

આ અંગેની જાણ પોલીસને કરતા કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શિહોરી પોલીસ સહિત ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓનું પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

(9:16 pm IST)