Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ: રાજ્યના અગત્યના ફલેગશીપ વિકાસ પ્રોજેક્ટસની કામગીરીની પ્રગતિ સમીક્ષા દર મહિનાના પ્રથમ બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હાથ ધરાશે

પ્રથમ સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, રાજ્યના શહેરોમાં વસતા આવાસ વિનાના નિરાધારો માટે શેલ્ટર હોમ, વડનગરના સર્વગ્રાહી વિકાસ પ્લાન, ધરોઇ ડેમ વિસ્તારનો પ્રાદેશિક પ્રવાસન ધામ તરીકે વિકાસ, ડાયમન્ડ બુર્શ –ડ્રીમ સિટી સુરત જેવા વિવિધ પ્રોજેક્ટસની તલસ્પર્શી સમીક્ષા કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલઃ સંબંધિત વિભાગોના મંત્રીશ્રીઓ-મુખ્ય સચિવશ્રી સહિત વરિષ્ઠ સચિવો સાથે પ્રોજેક્ટ સંદર્ભે ચર્ચા-પરામર્શ-માર્ગદર્શન

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસ તથા ફલેગશીપ યોજનાઓની કામગીરીની પ્રગતિ સમીક્ષા અને આગામી આયોજન માટે પ્રતિ માસ બેઠક યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી સી.એમ ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના આધારે આવા વિવિધ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હવેથી દર મહિનાના પ્રથમ બુધવારે સંબંધિત વિભાગોની ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરવાના છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નવિન ઉપક્રમ અન્વયે ગાંધીનગરમાં આજે બેઠક યોજી હતી.

આ બેઠકમાં  ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અરવિંદ રૈયાણી,  શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી, તેમજ મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કોરોનામાં આર્થિક વિપરીત સ્થિતીનો સામનો કરી રહેલા નાના સ્ટ્રીટવેન્ડર્સ, ફેરિયાઓ-લારી ગલ્લા ધારકોને પૂન: બેઠા કરવાની પી.એમ સ્વનિધિ યોજનાની સમીક્ષા કરી હતી.

તેમણે રાજ્યના શહેરો-નગરોમાં ઘરવિહોણા-નિરાધાર લોકો માટે શેલ્ટર હોમ્સ-આવાસ અંતર્ગત થયેલી કામગીરીની વિગતો પણ રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ પાસેથી મેળવી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય યોજનાઓનો લાભ મહત્તમ જરૂરતમંદ વ્યક્તિઓને આપવા રાજ્યમાં તેનો વ્યાપ વિસ્તારવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વતન ભૂમિ અને પ્રાચીન નગર વડનગરના સર્વગ્રાહી વિકાસ પ્લાન અન્વયે પ્રેરણા સ્કૂલ પ્રોજેક્ટ, આર્કીયોલોજીકલ એક્સપરીમેન્ટ મ્યૂઝિયમ, સ્વદેશ દર્શન પ્રોજેક્ટ અન્વયે વડનગરના વિવિધ ઐતિહાસિક સ્થાનોના રિ-ડેવલપમેન્ટ અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમ સાઇટ અને તેની આસપાસના વિસ્તારને વર્લ્ડકલાસ સસ્ટેઇનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકસીત કરવાના કાર્ય આયોજનની પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

ધરોઇની આસપાસ યાત્રાધામ અંબાજી, પોળોના જંગલો, સૂર્યમંદિર મોઢેરા તથા વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ અને પ્રાચીન તીર્થ વડનગર જેવા પ્રવાસન યાત્રાધામો આવેલા છે તેને ધરોઇ ડેમ સાઇટની સમગ્ર પ્રવાસન સરકીટ સાથે જોડવાના આયોજન અંગે બેઠકમાં પરામર્શ થયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર પ્રાદેશિક પ્રવાસન પ્રવૃત્તિનું કેન્દ્ર ધરોઇ બની શકે તેમ છે એમ પણ આ તકે જણાવ્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ડાયમન્ડ નગરી સુરતમાં આકાર પામી રહેલા વર્લ્ડકલાસ ડ્રીમ સિટીની પણ સમીક્ષા કરીને આ બધા જ પ્રોજેક્ટસમાં વધુ ગતિ લાવવા પણ સૂચનો કર્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ તથા મહેસાણાના જિલ્લા કલેકટરે વિડીયો કોન્ફરન્સથી જોડાઇને મુખ્યમંત્રીશ્રીને પૂરક વિગતો આપી હતી.

 

(6:05 pm IST)