Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આણંદ:સામરખા નજીક નજીવી બાબતે અપશબ્દો બોલી બે શખ્સો પર જીવલેણ હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : સામરખા ગામે પાણીનો નળ ચાલુ રહી જતા પાણી દુકાન તરફ આવતા ત્રણ શખ્સોએ બે વ્યક્તિઓને અપશબ્દો બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો. આરોપીઓએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.  સામરખા તાબે લીમડાપુરા ગોરખનાથ મંદિર પાછળ દિલીપભાઈ ઉદેસિંહ પરમાર રહે છે. તેઓ સામરખા નહેર પાસે આવેલી નગીનભાઈ રતિલાલ પ્રજાપતિની દુકાનમાં કામ કરી ગુજરાન ચલાવે છે. ગત તા. ૩૦મીના રોજ સવારના સુમારે તેઓ દુકાન ઉપર કામ કરતા હતા ત્યારે નગીનભાઈની દિકરી નેન્સીબેનથી પાણીનો નળ ચાલુ રહી જતા પાણી જયરાજભાઈની દુકાન તરફ જતા તેઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી દિલીપભાઈએ અમો પાણી લૂછી નાખીએ છીએ તેમ જણાવતા જયરાજભાઈ જયંતિભાઈ જસાણી, જયંતિભાઈ જસાણી અને મીનાબેન જયંતિભાઈ જસાણી ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા. આ સમયે જયરાજભાઇ દુકાનમાંથી ધારીયુ લઈ આવી નેન્સીબેનને મારવા જતા દિલીપભાઈ વચ્ચે પડતા ઝપાઝપી દરમ્યાન તેઓને ધારીયુ વાગતા ઈજાઓ પહોંચી હતી.  ઝપાઝપી દરમ્યાન ત્રણેય શખ્સોએ ભેગા મળી દિલીપભાઈ તથા નેન્સીબેનને ગડદાપાટુનો માર માર્યો હતો અને આ વખતે તો બચી ગયા છો, હવે પછી અહીંયા આવ્યા છો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ બનાવ અંગે દિલીપભાઈ ઉદેસિંહ પરમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે જયરાજભાઈ જયંતિભાઈ જસાણી, જયંતિભાઈ જસાણી અને મીનાબેન જયંતિભાઈ જસાણી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:16 pm IST)