Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

‘શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી' ફેમ જાણીતા ગાયક મનહર ઉધાસ જોડાશે ભાજપમાં

આજે સાંજે ૪:૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાશે : મનહર ઉધાસના તમામ ગુજરાતી આલ્‍બમ્‍સના નામ ‘અ'થી શરૂ થાય છે જે તેમની એક વિશેષતા કહી શકાય

અમદાવાદ, તા.૨: આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ફરી એક વખત રાજ્‍યના રાજકારણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે. ત્‍યારે દેશના જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ આજે ભાજપમાં જોડાવાના છે. તેઓ આજે સાંજે ૪:૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલની ઉપસ્‍થિતિમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે. મનહર ઉધાસનો જન્‍મ જેતપુર ખાતે થયો હતો અને તેમનું મૂળ વતન રાજકોટ પાસેનું ચરખડી ગામ છે. તેમના બંને ભાઈઓ પંકડ ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગીત-સંગીતકાર તરીખે ખૂબ જ પ્રસિદ્ધ છે. મનહર ઉધાસના તમામ ગુજરાતી આલ્‍બમ્‍સના નામ ‘અ' થી શરૂ થાય છે જે તેમની એક વિશેષતા કહી શકાય.

મનહર ઉધાસે બોલિવુડના મોટા ભાગના સંગીતકારો સાથે કામ કર્યું છે તથા અનેક ફિલ્‍મી કલાકારોના પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયા છે. તેમણે હિન્‍દી, ગુજરાતી, પંજાબી, બંગાળી અને બીજી ભાષાઓની ૩૦૦થી વધારે ફિલ્‍મોમાં પોતાનો અવાજ આપ્‍યો છે. અત્‍યાર સુધીમાં તેમના ૬૦ આલ્‍બમો બહાર પડ્‍યા છે.

તેમની લોકપ્રિય ગઝલો

શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી, જ્‍યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, નયનને બંધ રાખીને મેં જ્‍યારે તમને જોયા છે, તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું, થાય સરખામણી તો ઉતરતાં છીએ, હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી, ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!,  જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે, સમય વીતી ચુકેલો છું.

(3:28 pm IST)