Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગુજરાતમાં લોન્ચ કરવામાં આવેલ e-FRIના માધ્યમથી રાજયના નાગરિકોને પોલીસ વિભાગની વધુ સારી સેવા – વ્યવસ્થાનો લાભ મળશે - ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

આણંદ ખાતે e-FRI લોન્ચીંગ અને જાગૃતિ સેમિનાર તથા ઓનલાઈન ક્વિઝનો ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો:હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આણંદ ખાતે યોજાયેલ સાયકલોથોનને પ્રસ્થાન કરાવતાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ :ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલ મેમોરીયલ હોલ, કરમસદ ખાતે યોજાયેલા e-FRI લોન્ચીંગ અને જાગૃતિ સેમિનાર તથા ઓનલાઈન ક્વિઝના ઈ-લોન્ચીંગ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતુ કે, અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસ દ્વારા રાજયના નાગરિકોને પોલીસની વિવિધ સેવાઓનો સરળતાથી લાભ મળી શકે તે માટે e-FRI એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી ગુજરાતના નાગરિકો પોલીસ સ્ટેશન ગયા વિના તેમની મોબાઈલ - વાહન ચોરી જેવી ફરિયાદ ઘરે બેઠા આ એપના માધ્યમથી કરી શકશે. જેના પરિણામે નાગરિકોની સમય - શક્તિ બચશે એટલું જ નહી પરંતુ પોલીસ કર્મીઓનો સમય પણ બચશે અને નાગરિકોને પોલીસ વિભાગની વધુ સારી સેવા - વ્યવસ્થાનો લાભ પણ મળશે.

ગૃહ રાજય મંત્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતના નાગરિકોની વાત હોય કે મહિલાઓની સુરક્ષાની વાત હોય કે પછી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટેની બાબત હોય આ તમામ બાબતોમાં ગુજરાત પોલીસ ખૂબ મજબૂતાઈથી કાર્ય કરી રહી છે.

મંત્રીએ હર ઘર તિરંગા કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આપણા સૌની શાન, આપણી ઓળખ અને આપણું સ્વાભિમાન એ આપણા ભારતનો તિરંગો છે. આઝાદીના ૭૫ માં વર્ષે ફરી એક વાર દેશના કરોડો ઘરો ઉપર ભારતનો તિરંગો લહેરાશે, અને દેશની આઝાદી સમયે જે પ્રકારે લોકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો તે જ પ્રકારનો માહોલ આઝાદીના ૭૫ માં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણને જોવા મળશે. મંત્રીશ્રીએ આ તકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવનાર હર ઘર તિરંગા કાર્યક્રમમાં પ્રત્યેક જનને સહભાગી બની તમામ લોકોને તિરંગો ખરીદીને તેમના ઘર ઉપર શાનથી લહેરાવવા અનુરોધ કરી આ કાર્યમાં યુવાઓને આગળ આવવા આહવાન કર્યું હતુ.
આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતે e-FRI નું લોન્ચીંગ તથા ઓનલાઈન ચિલ્ડ્રન ક્વિઝનું ઈ-લોન્ચીંગ કર્યું હતુ. કાર્યક્રમમાં વિડીયોના માધ્યમથી તેમજ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા e-FRI ની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ બાદ ગૃહ રાજય મંત્રીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાયકલોથોનને પ્રસ્થાન કરાવ્યું હતુ. સરદાર પટેલ મેમોરીયલ હોલ, કરમસદ ખાતેથી આરંભાયેલી આ સાયકલ રેલી વિવિધ માર્ગો ઉપર ફરી આણંદ ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આણંદ-કરમસદ-વિદ્યાનગર નગરપાલિકા સહિત જિલ્લાની અન્ય તમામ નગરપાલિકાઓ ખાતે પણ સાયકલોથોનન યોજાઇ હતી જેનું એકસાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં મંત્રીએ સરદાર પટેલ મેમોરીયલ હોલ ખાતેની સરદાર પટેલની પ્રતિમા અને વિઠ્ઠલભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય મયુર રાવલ, જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, અમદાવાદ રેન્જ આઈ.જી.પી.વી. ચંદ્રશેખર, જિલ્લા વિકાસ અધિકારી મિલીન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજીયાન, અગ્રણીઓ સર્વ વિપુલ પટેલ,  દિલીપભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અંબાલાલ રોહિત, અધિકારી – પદાધિકારીઓ, સાયકલોથોનમાં ભાગ લેનાર યુવક-યુવતીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયાં હતા.

(7:17 pm IST)