Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

આજે પૂનમે ભરતી વધે તો ભરૂચનો ગોલ્‍ડન બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવો પડે તેવી પરિસ્‍થિતિ

ભરૂચ: ભરૂચનો ગોલ્ડન બ્રિજ આજે થઈ શકે છે વાહન ચાલકો માટે બંધ થઈ શકે તેવી શક્યતાઓ છે. જો નર્મદા નદીની જળ સપાટી વધશે તો વાહન ચાલકો માટે બ્રિજ બંધ કરવો પડશે. નર્મદાની જળ સપાટી 36 ફૂટ પાર થશે તો બ્રિજ બંધ કરવો પડી શકે છે. આજે પૂનમ હોવાથી પૂનમની ભરતીના પગલે નર્મદાની જળ સપાટી વધી શકે છે. પૂરનું પાણી આવવાથી નર્મદા નદીની જળ સપાટી વધી શકે છે. હાલ નર્મદા નદીની સપાટી 34.27 ફૂટ ઉપર છે. મોડી રાતે 35.09 ને સ્પર્શ્યા બાદ જળ સ્તર ઘટ્યા છે. જોકે, ગોલ્ડન બ્રિજ પર વાહન વ્યવહાર યથાવત છે. પરંતુ નર્મદા નદીની જળસપાટી વધે તો માર્ગ અને મકાન વિભાગે કલેક્ટરને રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવે. જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું કે, હાલ નર્મદા નદીની સપાટી અને ડેમમાંથી આઉટફ્લો સ્થિર છે.

- વર્ષ 1970 માં 41.50 ફૂટ

- વર્ષ 1990 માં 37.01 ફૂટ

- વર્ષ 1994 માં 39.54 ફૂટ

- વર્ષ 2013 માં 35.75 ફૂટ

- વર્ષ 2020માં જળસપાટી 36 ફૂટને પાર કરે તો ગોલ્ડન બ્રિજ બંધ થઈ શકે છે

નર્મદાના કાંઠા વિસ્તારો ગામો માટે હાલ રાહતના સમાચાર  સામે આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. પાણીની આવક  4 લાખ 19 હજાર ક્યૂસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ સ્થિર છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.33 મીટરે સ્થિર બની છે. ઉપરવાસમાંથી 8 લાખ ક્યુસેક પાણીનો ઘટાડો નોંધાયો છે. ડેમના 23 દરવાજામાંથી 2 લાખ 13 હજાર કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ઓવરફ્લો + RBPH + CHPH એટલે કે, 2,55,500 ક્યુશેક જેટલું કુલ પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં 4093.30 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. RBPH ના 6 ટર્બાઇન ચાલુ છે અને CHPH ના 3 ટર્બાઇન ચાલુ છે. હાલ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. તેથી નર્મદા ડેમમાંથી પાણી ઓછી માત્રામાં છોડાતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ પર નિયંત્રણ આવશે.

તો બીજી તરફ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં તમામ પ્રકારની સિસ્ટમ વિખેરાઈ જતાં ગુજરાતમાં 4 દિવસ સુધી ભારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી. ગઈ કાલે પણ ગણતરીના જિલ્લામાં સામાન્યથી નહિવત જેવો વરસાદ થયો હતો. તો ખેડૂતો માટે વરસાદે વિરામ લીધો હોવાથી રાહતના સમાચાર છે. પરંતુ ઉપરવાસમાંથી છોડાતું પાણી ખેડૂતોનું ચિંતા વધારી રહ્યું છે. સરદાર સરોવર ડેમ સહિતનાં જળાશયોમાં પાણીની નિયત સપાટીને જાળવી રાખવા પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી નીચાણવાળાં ગામોમાં નદી મારફતે પહોંચતાં ખેડૂતોના પાકમાં પાણી ભરાઈ રહ્યું છે. નદીઓમાં પાણીનો પ્રવાહ વધતાં ખેતરોમાં પાણી ભરાયાં છે. તો આગામી 4 દિવસ વરસાદ તો નહિ વરસે પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી આવતું પાણી ચોમાસુ વાવેતરને નુકસાન પહોંચાડી શકે છે.

(4:39 pm IST)