Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

નાંદોદ ના સિસોદ્રા ગામમાં નર્મદાના પાણી ફરી વળતા ૭૦ જેટલા ઘરોમાં પાણી ઘુસ્યા: ધરવખરી સહિતના સામાનને ભારે નુકસાન

પુરગ્રસ્તોની વહારે કોઈ મદદે ન આવતા રોષ,અસરગ્રસ્ત વિસ્તારોના નુકસાન અંગે સવૅ હાથ ધરી નુકશાની વળતર ચુકવવા માંગ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના સીસોદ્રા ગામના ૭૦ જેટલા ધરોમા નમૅદાના પાણી ફરી વળ્યાં જેને પગલે આ તમામ ધરોમા ધરવખરી સહિતના સામાનને ભારે નુકસાન થવા પામ્યું છે અસરગ્રસ્ત વિસ્તારના પરીવારોની મદદે કોઈ જ ન આવતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉપરવાસમાં સતત વરસતા વરસાદના કારણે નર્મદા ડેમમા પાણીની આવક થતા અગાઉ 10 લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામા આવ્યું હતું જેમાં નર્મદા,ભરૂચ, અને વડોદરા જીલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અનેક ગામોમાં પાણી ઘુસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમા નર્મદા નદીમા પુર આવતાં,લગભગ 25 જેટલાં ઘરના લોકો પોતાની રીતે સલામત સ્થળે ખસી ગયાં હતાં જયારે કેટલાક નજીકના રહેવાસીઓએ અસરગ્રસ્તો થયેલાં પરિવારોને સહારો આપ્યો હતો.

સિસોદ્રાના મજુરી કામ અર્થે રહેતાં 50 જેટલાં શ્રમિકો એ ગામની હાઈસ્કુલ માં આશરો લીધો હતો,આ પુરગ્રસ્તોને મદદના નામે માત્ર એક ટાઈમ બાફેલા ચોખા આપવામા આવ્યાં હતાં,ત્યાર બાદ તેઓને જમવાનું આપવા કોઈ આવ્યુ નહોતું જેથી મહીલાઓ અને નાના બાળકો ભૂખ્યાં રહ્યા હતા. ગામના કસ્બા ફળીયામા 15 જેટલાં મકાનોમા પાણી ફરી વળ્યા હતાં,50 જેટલાં લોકો પોતાનુ ઘર પણ છોડવા મજબુર બન્યાં છે, તેમની ઘરવખરી અને સામાન ને પણ નુકશાન થવા પામ્યું છે.આ પુરગ્રસ્તો પરીવારોની મદદની વ્હારે કોઈ જ ન આવતાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે તંત્ર આ પુરગ્રસ્તો વિસ્તારના પરીવારોની મુલાકાત કરી તેમને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી આપે તથા પુરગ્રસ્ત વિસ્તાર ની સવૅની કામગીરી વહેલી તકે હાથ ધરી પરીવારોને તાત્કાલિક નુકશાનીનું વળતરની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(10:02 pm IST)