Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પદ્માવત ફિલ્‍મના વિરોધ સમયે થયેલા કેસો પાછા ખેંચોઃ કરણી સેનાની માંગ

અમદાવાદ: પદ્માવત ફિલ્મની રિલીઝ સમયે થયેલી તોડફોડ બાદ વિરોધ પ્રદર્શન કરનારાઓ પર કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ પરત ખેંચવાની માંગણી સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આજે એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરાઈ હતી. ત્યારે આજે પ્રદર્શન કરી રહેલ કરણી સેનાના કાર્યકર્તાઓની પોલીસે રોક્યા હતા. 

અમદાવાદ રાજપૂત કરણી સેના તરફથી પ્રતીક ઉપવાસના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું. પદ્માવત ફિલ્મના વિરોધ વખતે આંદોલનકારીઓ પર થયેલા કેસ પરત ખેંચવાની માંગણી સાથે તેઓએ વિરોધ દર્શાવ્યો હતો. આ કેસ પરત ન ખેંચાતા રાજપૂત કરણી સેના દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણાંના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કરણી સેનાના કાર્યકર્તાઓ ગાંધી આશ્રમ સાથે એકઠા થવાના હતા. રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓને પોલીસે ગાંધી આશ્રમ જતા પહેલા જ રોકી લીધા હતા. ત્યારે કરણી સેનાના રાજ શેખવત અને પોલીસ વચ્ચે તુંતુંમેંમેં સર્જાઈ હતી.

આ મામલે કરણી સેનાના રાજ શેખાવતે કહ્યું હતું કે, ભાજપના નેતાઓને રેલી કે સભા કરવા માટે કે મંજૂરી મળી જાય છે. તો અમને ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવા માટે કોઈ પરમિશનની જરૂર નથી. જો કાર્યકર્તાઓ પરના કેસો પાછા નહિ ખેંચાય તો પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને ભોગવવાનું આવશે. ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે ઘુસવા નહીં દેવામાં આવે.

(4:46 pm IST)