Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

અમદાવાદ મનપાનો નિર્ણય : એએમસી સંચાલિત હોસ્પિટલમાં હવે વેક્સિન વિના પ્રવેશ પર પ્રતિબંધ

AMC સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરના પ્રવેશદ્વારે જ મુલાકાતીઓની તપાસ કરાશે

અમદાવાદ: શહેરમાં કોરોના વેક્સીનેશનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા એએમસી સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય. AMC સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરના પ્રવેશદ્વારે જ મુલાકાતીઓની તપાસ કરાશે.આ દર્દી સિવાય જે લોકોએ રસી લીધી નહીં હોય તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. આવા લોકોએ નજીકના સેન્ટર ઉપરથી રસી લેવાની રહેશે.

બીજી તરફ 01 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધી કોરોના રસીનો બીજો ડોઝ લેનારા લોકો માટે એક ડ્રો કરવામાં આવશે. આ ડ્રો બાદ કોઈ એક ભાગ્યશાળીને 60 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન આપવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદમાં અત્યાર સુધી કુલ 78 લાખ 74 હજારથી વધુ લોકોને રસીના ડોઝ અપાયા છે. જેમાં 47 લાખ 72 હજારથી વધુને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 31 લાખ 2 હજારથી વધુ લોકોને રસીના બંને ડોઝ અપાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે જો કે બીજા ડોઝ લેવાના બાકી લોકો માટે પ્રોત્સાહક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.જેના પગલે બીજા ડોઝનું પણ 100 રસીકરણ ઝડપથી પૂર્ણ કરી શકાય. આ ઉપરાંત બીજા ડોઝ માટે ડોર ટુ ડોર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરાના રસીનો પ્રથમ ડોઝ રસી લેવા પાત્ર 93 ટકાએ લોકોએ લઇ લીધો છે. જ્યારે બીજો ડોઝ હજુ સુધી 70 ટકા લોકોએ લીધો છે.જેના પગલે રાજય સરકાર દ્વારા કોરોના રસી લેવા પાત્ર બાકી લોકો પ્રથમ અને બીજો ડોઝ ઝડપથી લે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

(11:32 pm IST)