Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગર્ભનિરોધકની આડઅસરથી મહિલાના મૃત્યુ પેટે રૂપિયા ૧૧.૩ લાખનું વળતર

રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગનો ચુકાદો : ડોક્ટરે લખી આપેલી ગોળીઓની આડઅસરથી મહિલાએ જીવ ગુમાવતા પરિવારને વળતર ચૂકવવું પડશે

અમદાવાદ, તા.૨ : ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે એક ડૉક્ટરને તેમણે પોતાના એક મહિલા પેશન્ટને આપેલી ગર્ભનિરોધક ગોળીઓની પ્રતિકૂળ પ્રતિક્રિયાને કારણે દર્દીના મૃત્યુ પેટે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, કારણ કે ડોક્ટરે આપેલી દવાના કારણે દર્દીના શરીરમાં લોહીના ગાંઠા જામવા લાગ્યા હતા. ડૉક્ટરને ૨૦૧૧ થી ૯% વ્યાજ સાથે મહિલાના પરિવારને ૧૧.૩ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, અને રકમનો એક તૃતીયાંશ તેના સૌથી નાના પુત્રના નામે ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવશે, જે પછી પાંચ વર્ષ પછી આ રકમ ઉપાડી શકશે.

કેસની વિગતો અનુસાર, માર્ચ ૨૦૧૧માં ૨૯ વર્ષીય જ્યોતિકા પટેલ અનિયમિત માસિક ધર્મની ફરિયાદ લઈને ડૉક્ટર ચૈતન્ય નેનુજી પાસે ગઈ હતી. ડૉક્ટરે ઓરલ ગર્ભનિરોધક ગોળીઓ લખી આપી હતી. ડોક્ટરે ૩ માર્ચે ૨૦૧૧ના રોજ 'ઇન્ટિમસી પ્લસ ૨' લેવાનું સૂચવ્યું હતું અને જે બાદ ૨૮ માર્ચે મહિલાને આગામી ત્રણ અઠવાડિયા માટે 'માય પિલ' લેવાની સલાહ આપવામાં આવી હતી. જોકે ગોળીઓ લીધાના થોડા દિવસો પછી તે ડૉક્ટર પાસે ગઈ અને તેના હાથમાં ધ્રુજારીની ફરિયાદ કરી હતી. ડૉક્ટરે કથિત રીતે તેને ચિંતા ન કરવા અને ગોળીઓ લેવાનું ચાલુ રાખવા કહ્યું હતું.

પરંતુ મહિલાના હાથમાં સમસ્યા વધતી ચાલી અને તેને દુખાવો થવા લાગ્યો, જેથી જૂનાગઢના અન્ય ડૉક્ટર પાસે રીફર કરવામાં આવી હતી, પરંતુ કોઈ રાહત મળી નહીં. જે બાદ મહિલાને વડોદરાના ડૉક્ટર પાસે રીફર કરવામાં આવી હતી, જ્યાં તેના શરીના ઉપરના ભાગનો ડોપ્લર ટેસ્ટ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તેની નસમાં લોહીના ગંઠાઈ રહ્યું હતું. જેના કારણે મે ૨૦૧૧ માં સર્જરી કરાવવી પડી, પરંતુ થોડા દિવસો પછી તેને ફરી એકવાર તીવ્ર માથાનો દુખાવો, અપચો અને ચક્કરની ફરિયાદ થઈ. જે બાદ તેની તબિયત સતત બગડતી હોવાથી, તેને રાજકોટ અને ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં જુલાઈ ૨૦૧૧માં તેને બે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં દર્દીને સ્પાસ્ટિક લકવો અને ૧૦૦% અપંગતા હોવાનું નિદાન થયું હતું. જેના કારણે મહિલાનું જીવન પથારીમાં સીમિત થઈ ગયું હતું અને પછી સપ્ટેમ્બર ૨૦૧૪ માં તેનું અવસાન થયું.

મહિલાના મોતથી તેના સંબંધીઓએ વળતર માટે ડો નેનુજી સામે દાવો કર્યો હતો કે તેનું મૃત્યુ તેમની દવાની આડઅસરને કારણે થઈ હોવાનો આરોપ મુક્યો હતો. સંબંધીઓનો દાવો હતો કે જ્યારે મહિલાએ દવાની આડઅસરો વિશે ફરિયાદ કરી, ત્યારે ડૉક્ટરે તેને ખાતરી આપી કે ગોળીઓથી કોઈ સમસ્યા નહીં થાય અને દવાઓ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો. ડૉક્ટરે કોઈ ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટ માટે કહ્યું ન હતું.

ડૉ. નેનુજીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે તેમણે ગર્ભનિરોધક ગોળીઓ આપી હતી કારણ કે મહિલા અનિયમિત માસિક ચક્રથી પીડાતી હતી. આ દવાઓની ૪૦ કલાક પછી આડઅસર થતી નથી. દવા લીધા બાદ દર્દી ફરીયાદ કરવા માટે પાછો ફર્યો ન હતો અને કોઈ આડઅસર જોવા મળી ન હતી તેથી તેણે ૨૮ માર્ચથી ૧૮ એપ્રિલ, ૨૦૧૧ સુધી ગોળીઓ ચાલુ રાખવા કહ્યું. ડોક્ટરે જણાવ્યું કે ગોળીઓમાં હોર્મોન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન હોય છે અને આડઅસર સામાન્ય રીતે ઉલ્ટી થાય છે. ડૉક્ટરે અન્ય ઓરલ ગર્ભનિરોધક ગોળીઓ જેમ કે 'ચોઈસ' અને 'માલા-ડી' પણ મૂકી જેને ખુદ સરકાર સબસિડીવાળા દરે વિતરણ કરે છે. જેના મારફત તેમણે દર્શાવ્યું કે તેમણે લખી આપેલી દવા અને સરકાર દ્વારા આપવામાં આવતી આ દવાના ઘટકો સમાન છે.

અરજદાર દ્વારા ન્યુરોલોજીસ્ટ ડો. જિતેન્દ્ર સિંઘનો અભિપ્રાય પણ રેકોર્ડમાં મૂકવામાં આવ્યો હતો કે 'માય પિલ'માં ૦.૦૩૫દ્બખ્ત એથિનિલેસ્ટ્રાડિઓલ હોય છે અને જ્યારે દર્દીના હાથમાં ધ્રુજારી આવતી હોય, ત્યારે ગોળીઓ તરત જ બંધ કરી દેવી જોઈએ. ડૉ. નેનુજીએ દાવો કર્યો હતો કે દર્દીને અલગ-અલગ ડૉક્ટરો પાસે લઈ જવામાં આવ્યા હતા અને આ કોઈ અન્ય ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી કોઈપણ દવાની આડઅસર હોઈ શકે છે. તેના પ્રિસ્ક્રિપ્શનને કારણે મહિલાની તબિયત બગડી હોવાના કોઈ સીધા પુરાવા નથી. રેકોર્ડ પર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૂકવામાં આવ્યો ન હતો. ડોકટરોના મંતવ્યો અને હરીફ પક્ષોના દાવાઓને ધ્યાનમાં લીધા પછી, કમિશને દર્દીના મૃત્યુ માટે વળતર આપવા માટે ડૉક્ટર નેનુજીને જવાબદાર ઠેરવ્યા અને તેની ઉંમર અને તેણે પાછળ છોડેલા બે બાળકોના આધારે રકમની ગણતરી કરી.

(7:47 pm IST)