Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પૌરાણિક નગરી વડનગરમાં દ્વિદિવસીય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી - રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણની ભવ્યતાતિભવ્ય ઉજવણી.....

ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે ઉત્તર ગુજરાતનું ઐતિહાસિક પૌરાણિક નગર વડનગર શહેર. લોકો વડનગરને ગુજરાતની કાશી અને ઉજ્જૈન તરીકે પણ ઓળખે છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને બે મહિના સુધી વડનગરના નાગધરા અને વિસનગરના પિંડારિયા સરોવર પર લીલાઓ કરી હતી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરણાવિંદથી પાવન થયેલું આ નગર છે. વિસનગરમાં અને વડનગરમાં પણ હજારો બ્રાહ્મણોને લાડુ, કંસાર, ઘેબર, શિરો, દૂધપાક, માલપૂવા, જલેબી, ખાજાં, પેંડા આદિ અનંત પ્રકારનાં પક્વાનો તથા અનંત પ્રકારનાં શાકો તથા સાકર મિશ્રિત કેરીનો રસ આદિ સ્વાદિષ્ટ ભોજનોથી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા અને સદ્ધર્મનું સ્થાપન કર્યું.

એ જ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદાર જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં વડનગરમાં દ્વિદિવસીય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી - રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણનું ભવ્યતાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતો - હરિભક્તો સહીત સમૂહ મહાપૂજા તથા ભવ્ય નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ નગરયાત્રામાં સ્થાનિક જન સમુદાયને પર્યાવરણ જાગૃતિ તથા ભવ્ય વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વડનગરમાં દ્વિદિવસીય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી - રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોની પૂર્ણાહુતિ શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના  આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય વક્તા સંતોનું યજમાન સાંખ્યયોગી બા શ્રી રાધાબા, સાંખ્યયોગી બા શ્રી પ્રવીણાબા તથા શ્રી સ્વામિનારાયણ ગાદી મંડળ બહેનોનું - મણિનગરના પરિવાર જનોએ પૂજન, અર્ચન તથા આરતી ઉતારીને કરી હતી.

આ પાવનકારી અવસરે જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે,  હવા, પાણી અને જમીન તેમજ આપણી આસપાસ રહેલું વાતાવરણ એ પર્યાવરણના મૂળભૂત ઘટકો છે. જો હવા, પાણી તેમજ જમીન સ્વચ્છ હશે તો જ આપણું પર્યાવરણ સ્વચ્છ રહેશે. આ ત્રણેય ઘટકોને જોડતી કડી એટલે વૃક્ષો. મનુષ્યના જીવન માટે જરૂરી એવા ઘટકો હવા પાણી તેમજ ખોરાક આપણને વૃક્ષો થકી જ મળી રહે છે વૃક્ષ જ હવાને ચોખ્ખી રાખવાનું કામ કરે છે. જમીનનું પાણી દ્વારા થતું ધોવાણ અટકાવવાનું કામ પણ વૃક્ષો જ કરે છે. વરસાદને ખેંચી લાવવાનું તેમજ તેને વરસાવવાનું કામ પણ વૃક્ષો જ કરે છે.આમ વૃક્ષ એ પર્યાવરણનું એક અભિન્ન અંગ છે. તેથી વૃક્ષનું સંરક્ષણ એ જ પર્યાવરણનું સંરક્ષણ કહેવાય. તેમ આપણાં જીવનને સુંદર, સુશીલ, ગુણમય બનાવવા માટે સાચા સત્પુરુષની આવશ્યકતા હોય છે. એટલે કે સાચા સંતની જરૂરિયાત હોય છે એટલે કે સત્સંગની જરૂરિયાત હોય છે.  જીવાત્માને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે સત્સંગ જરૂરી છે. જીવને બળવાન બનાવવા માટેનું સૌથી સરળ સાધન છે ભગવાનની કથા વાર્તા છે. ભગવાનની કથાવાર્તાથી જીવનમાં રૂડા ગુણ આવે છે તેનાથી મનુષ્યનું જીવન એકદમ સુખમય, શાંતિમય અને આનંદમય બને છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આ મહામૂલો મનુષ્ય અવતાર આપ્યો છે અને તેમાંય સુખ, સંપત્તિ બક્ષી છે. મનુષ્ય સામાજિક સંબધોના રિતરિવાજોમાં ખોવાઈ ગયો છે. જેનાથી પર રહીને સુખમય જીવન, આનંદમય જીવન, આશામય જીવન, અમૃતમય જીવન, ભગવત પરાયણ  જીવન જીવવું હોય તો વ્યસનનું આગમન આપણા આંગણે કદી પણ થવા દેશો નહીં. સારું જીવન જીવવા માટે નિર્વ્યસની બનવું જરૂરી છે. આ દિવ્ય પાવનકારી અવસરનો લાભ લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા દેશ વિદેશનાં ઘણાં હરિભક્તોએ તથા સ્થાનિક જન સમુદાયે પણ લ્હાવો લીધો હતો.

(4:33 pm IST)