Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

આણંદ:નેશનલ હાઇવે 8 નજીક ઉભેલ કારને પુરપાટ ઝડપે જઈ રહેલ ટ્રકે હડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળેજ મોત નિપજતા અરેરાટી

આણંદ:શહેરની ગણેશ ચોકડી નજીક રહેતા કિરણભાઈ રમણભાઈ ચાવડા તા.૩૦મી જૂનના રોજ પોતાના મિત્રો ભાવેશભાઈ ભોઈ, હર્ષદભાઈ પ્રજાપતિ અને નયનકુમાર વંડરા સાથે સ્વીફ્ટ ડીઝાયર કાર લઈ રાજસ્થાનના રામદેવરા ખાતે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ આ ચારેય મિત્રો તા.૧લી જૂનના રોજ સવારના ૧૧ઃ૦૦ વાગે રાજસ્થાનની આણંદ પરત આવવા કારમાં નીકળ્યા હતા. તેઓ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી આણંદ આવી રહ્યા હતા ત્યારે આણંદ તાલુકાના બોરીયાવી ગામના બ્રીજ નજીક રાત્રિના સુમારે કાર ગરમ થઈ જતા બંધ થઈ ગઈ હતી. જેથી તેઓએ કારને રોડની સાઈડમાં પાર્ક કરી ચારેય મિત્રો કારમાંથી ઉતરી હાઈવેની સાઈડમાં આવેલ રેલીંગ ઉપર બેઠા હતા અને ટોઈંગ માટે હાઈવે કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. દરમ્યાન મધ્યરાત્રિના સુમારે નયનકુમાર ચંદુભાઈ વંડરા પાણીની બોટલ લેવા કાર નજીક ગયા હતા. બરાબર એ જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. જેમાં કાર નજીક પહોંચેલ નયનકુમાર ટ્રકની ટક્કરે ઉછળીને રોડ ઉપર પટકાયા હતા અને ટ્રકના તોતીંગ વ્હીલમાં ફસાઈ જતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. 

અકસ્માત અંગે આણંદ ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક અંગે તપાસ કરતા ચાલકનું નામ જીવન કમલસિંહ સીસોદીયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી આ બનાવ અંગે ટ્રકચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:12 pm IST)