Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

તબક્કાવાર ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા નિર્ણય લઇશુ-9 ઓગસ્‍ટ બાદ મળનાર રાજ્‍ય સરકારની કોર કમિટીની બેઠક બાદ જાહેરાતઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા

અમદાવાદમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજનાના કાર્યક્રમમાં શિક્ષણમંત્રીની જાહેરાત

અમદાવાદ: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તબક્કાવાર ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઇશું. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે જેમાં ચર્ચા વિચારણા કરીને ધોરણ 6 થી 8 ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અગે નિર્ણય લઇશું.

અમદાવાદના શાહીબાગ સ્થિત પ્રીતમપુરા ગુજરાતી શાળા નંબર 3 ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારના 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આમ તો રાજ્યના 25 વર્ષ પૂર્ણ થાય છે. પરંતુ વિજયભાઈની સરકારના 7 ઓગસ્ટે 5 વર્ષ પુરા થશે. 1960 થી અત્યાર સુધી જે પણ સીએમ આવ્યા, એમાં અગાઉ માત્ર 3 સીએમએ 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો.

સ્વાભાવિક રીતે 5 વર્ષમાં સરકારે કલ્યાણના અનેકવિધ કામ કર્યા છે. સરકારી શાળામાં ખાનગી શાળા કરતા વધુ સારું શિક્ષણ મળે એ માટે 12 હજાર જેટલા જ્ઞાનકુંજ ઓરડાનું નિર્માણ કર્યું છે. શિક્ષણમાં ગુણવત્તા મામલે અમદાવાદએ સાબિત કર્યું છે. સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ અને શાસનાધિકારી લબ્ધીરભાઈએ જે તે સમયના મેયર અને અમારી ટીમે કરી બતાવ્યું છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 12 ના વર્ગો બાદ ધોરણ 9, 10 અને 11 ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, હવે 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરીને ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઈશું. રાજ્યમાં તબક્કાવાર ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઈશું.

(4:53 pm IST)