Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

આરટીઇ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય

અમદાવાદ,તા.૨ : રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે ત્યારે જો આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, આરટીઈ હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડમ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે. મંત્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે તા.૦૭/૦૮/૨૦૨૦ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી.

                 ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પૂરાવા અરજદારો એકઠા કરી શકે તે માટે તા.૦૭/૦૮/૨૦૨૦ થી તા.૧૮/૦૮/૨૦૨૦ સુધીનો કુલ ૧૧ દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. ૧૯/૦૮/૨૦૨૦ થી તા. ૨૯/૦૮/૨૦૨૦ સુધીનો કુલ ૧૦ દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો હતો. આમ, જરૂરી ડોક્યુમેન્ટં એકત્ર કરી ફોર્મ ભરવા માટે એકંદરે કુલ ૨૩ દિવસ જેટલો સમય વાલીઓને આપવામાં આવ્યો છે. ચુડાસમાએ ઉમેર્યુ હતુ કે, આ સમયગાળા દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ ઉપર વાલીઓ દ્વારા કુલ ૨,૦૪,૪૨૦ જેટલી અરજીઓ સબમીટ થઇ છે. જે પૈકી, આજની તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએથી ૧,૧૯,૬૯૭ અરજીઓ એપ્રુવ અને ૨૪,૦૪૫ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. તે ઉપરાંત ૪૧,૭૮૮ અરજીઓ વાલીઓ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. જ્યારે ૧૮,૮૯૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે. અરજીઓની ચકાસણીની કામગીરી તા.૦૭/૦૯/૨૦૨૦ સુધી કરવામાં આવનાર છે અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૧૧/૦૯/૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે.

(9:19 pm IST)