Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામની દેવ નદી ઉપર મોટો પુલ બનાવવા નર્મદા કલેકટર સાંસદ ને આવેદનપત્ર આદિવાસીઓની વારંવાર ની રજુઆતો છતાં સમસ્યાનુ નિરાકરણ કયારે આવશે..?તે મોટો પ્રશ્ન

ડુમખલ, કણજી, વાંદરી, દુડાખાલ, માથાસર, સરિબાર મા વસતા 8000 થી પણ વધુ આદિવાસીઓ નદી મા પુર આવતા સંપર્ક વિહોણા બનતા હોય આદિવાસીઓમાં મુળભુત જરુરીયાતો માટે માંગ : ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં લોકો ને શિક્ષણ, આરોગ્ય,ખેતી કામ,સગર્ભા સ્ત્રીઓ ને ડિલીવરી માટે ઉઠાવવી પડતી જીવ ના જોખમે ભારે તકલીફો બાદ પણ સરકાર ની લાપરવાહી..?!!

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : વિકાસની વાતો કરતી રાજય સરકાર અને સમગ્ર દેશમાં રોલ મોડેલ તરીકે ગુજરાત માં ઢોલ નગારા વગાડી ને જાહેરાતો કરતી કેન્દ્ર સરકાર હજી પણ નર્મદા જીલ્લા જેવા અતિપછાત જીલ્લામા પાયાની મુળભુત સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઇ છે.જેના અનેક દાખલા નર્મદા જિલ્લામા સમયાંતરે જોવા મળે છે.

કેન્દ્ર સરકારે ગુજરાત ના બે જીલ્લા એસપીરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત જાહેર કરેલ છે જે અંતર્ગત વિશિષ્ટ પ્રકાર ના પેકેજ ની જાહેરાતો કરવામાં આવી છે,ત્યારે નર્મદા જિલ્લાના જ દેડિયાપાડા તાલુકા ના ઉંડાણ ના આદિવાસીઓ આજે પણ ચોમાસા ની સીઝન દરમ્યાન ડુમખલ ગામ ની દેવ નદી મા પાણી આવતા મહિનાઓ સુધી મુળભુત સુવિધાઓ મેળવવા માટે ઝઝુમતા હોય જેમાં બાળકો ને શિક્ષણ મેળવવા નદી ઓળંગી જીવના જોખમે જવુ પડતુ હોય છે, આરોગ્ય લક્ષી સારવાર માટે તકલીફો ઉઠાવવી પડે છે,સગર્ભા સ્ત્રીઓ ને ડિલીવરી માટે ઝોલીઓ મા નાખી જીવના જોખમે નદી ઓળંગી જવુ પડતુ હોય છે,સરકારી કામકાજ,ખેતી ના કામ સહિત જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ મેળવવા ડુમખલ, કણજી,વાંદરી,માથાસર,ડુડાખલ અને સરીબાર જેવા ઉંડાણ ના ગામો મા વસતા લગભગ 8000 થી પણ વધુ આદિવાસીઓ દાયકાઓથી આઝાદી પહેલા પણ અને આઝાદી મેળવ્યા બાદ પણ હજુ સુધી મુસીબતો વેઠી રહયા છે.સાંસદ મનસુખભાઈ વસાવાને આ અંગે અગાઉ પણ જયા જયાં કોઝવે બનાવ્યા છે ત્યા પુલ બનાવવા ની માંગ સાથે રજુઆતો આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી ઓએ કરી હતી.

એસપીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકે ભલે નર્મદા જીલ્લો જાહેર થયો પણ સમસ્યા ત્યાંની ત્યાંજ છે.જેથી આ વિસ્તારના સરપંચ અનિરુદ્ધભાઈ વસાવા,સરપંચ સોમભાઈ વસાવા, સોમભાઈ તડવી,વિરસિંગભાઈ તારીયાભાઈ વસાવા નેચરલ વિલેજ ગ્રુપના ભરત તડવી,ઈશ્ર્વરભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનોએ સાંસદ મનસુખભાઈ વસાવા ને આવેદનપત્ર આપીને પોતાની ફરિયાદ અને સમસ્યાઓ રજુ કરી કોઝવે ની જગ્યાએ મોટો પુલ બનાવવાની માંગણી કરી છે.ત્યારે હવે એ જોવું રહ્યું કે સરકાર કે સરકારના પ્રતિનિધિઓ આ બાબતે ક્યારે અને કેટલી ઝડપી કામગીરી કરશે.

(8:33 am IST)