Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

હારના સંકેતથી આત્મનિર્ભર પેનલ ઊભી કરવામાં આવી

ગુજરાત ચેમ્બરની ચૂંટણી પ્રચારમાં ગરમાવો : વ્યક્તિગત ઉમેદવારી નોંધાવનારાઓએ છેલ્લી ઘડીએ આત્મનિર્ભર પેનલ ઊભી કરીને પ્રચારમાં જોર લગાવ્યું

અમદાવાદ, તા. : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીનું વાતાવરણ બરાબર જામ્યું છે. ત્યારે પ્રગતિ પેનલની સામે હરીફ ઉમેદવારોએ પણ એક જૂથ બનીને આત્મનિર્ભર પેનલની રચના કરી છે. જેને કારણે પેનલના ઉમેદવારોને એકબીજાના વોટ મળી શકે. ચૂંટણીના બે દિવસ પહેલાં આત્મનિર્ભર પેનલની રચના કરી તેનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હરીફ પેનલ અને ચેમ્બરના કેટલાક સિનિયર સભ્યો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે તે ઉમેદવારોની હાર નિશ્ચિત થઇ ગઇ હોવાથી તેમણે આખરે પેનલની રચના કરવી પડી છે. અમદાવાદ સહિત ગુજરાતભરના વેપારીઓ અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદાર બનવું પ્રતિષ્ઠાની વાત છે.

           હવે પ્રતિષ્ઠા મેળવવા માટે ચેમ્બરના સભ્ય વચ્ચે પાંચમી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારથી ચૂંટણીની તારીખ અને કાર્યક્રમ જાહેર થયો ત્યારથી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હેમંત શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કે. આઈ .પટેલ તથા ગૌરાંગ ભગત, પથિક પટવારી, અંકિત પટેલ, ચેતન શાહ, અંબર પટેલ તથા ભુપેન્દ્ર પટેલ સહિતના સભ્યોની પ્રગતિ પેનલની રચના કરી દેવામાં આવી હતી. પ્રગતિ પેનલ દ્વારા  જો ચેમ્બરનું સુકાન તેમને સોંપવામાં આવે તો તેઓ શું કરવા માગે છે તે એજન્ડા સાથે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સામાપક્ષે અત્યાર સુધી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જયેન્દ્ર તન્ના, વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલ તથા ભાવેશ લાખાણી પોતપોતાની રીતે પ્રચાર કરતા હતા. આખરે અશોક પટેલે ભાવેશ લાખાણીના સમર્થનમાં પોતાની ઉમેદવારી છેલ્લી ઘડીએ પરત ખેંચી હતી. જ્યારે અન્ય ઉમેદવારો અમિત લાલચંદ શાહ તથા કૈલાશ ગઢવીએ ચેમ્બરની ચૂંટણી રદ કરવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. હવે જ્યારે ચૂંટણીના ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ ઉમેદવારોએ એકજૂથ થઈને આત્મનિર્ભર પેનલની રચના કરી છે જેમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જયેન્દ્ર તન્ના, વાઈસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ભાવેશ લાખાણી તથા અન્ય સભ્યો કૈલાશ ગઢવી, અરવિંદ ગજેત, અમિત લાલચંદ શાહ, જગદીશ મોદી તથા મેઘરાજભાઈ ડોડવાની હોવાનું જાણી શકાયું છે.

આત્મનિર્ભર પેનલની રચના થતાં પેનલના સભ્યો જોર જોરથી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે હરીફ ચૅનલ તથા ચેમ્બરના કેટલાક સિનિયર સભ્યો જણાવી રહ્યા છે કે વ્યક્તિગત લડી રહેલા ઉમેદવારો પોતાની હાર નિશ્ચિત હોવાનું જાણી જતા આખરે એક જૂથ થઈ ગયા છે અને પેનલ બનાવી લીધી છે. હવે જોવાનું રહ્યું કે પાંચમી તારીખે મતદારો કઈ પેનલના સભ્યો ઉપર પોતાની પસંદગી ઉતારે છે.

(7:56 pm IST)